બોલિવૂડના દિગ્ગજ સ્ક્રીનરાઇટર સલીમ ખાનના સ્વાસ્થ્યને લઈને મોટી ખબર સામે આવી છે. 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 88 વર્ષના સલીમ ખાનની હાલતમાં હવે સુધારો થઈ રહ્યો છે. ડોકટરો અનુસાર સલીમ ખાનની તબિયત પહેલાં કરતાં ઘણી સારી છે. આ સારા સમાચારથી સલમાન ખાનના પૂરા પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.
રિપોટ્સ અનુસાર સલીમ ખાનની રિકવરી ફાસ્ટ થશે તો આગામી ત્રણથી ચાર દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી ખાન પરિવાર આ વાતને લઈને ચિંતામાં હતો. પરંતુ હવે મેડિકલ સુપરવિઝનમાં સલીમ ખાનની હાલત સુધારા પર છે. મિનિમલ બ્રેઇન હેમરેજની સફળતાપૂર્વક સારવાર થઇ છે અને અત્યાર સુધીના પ્રોગ્રેસમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં સલીમ ખાનની હેલ્થ અપડેટ જાવેદ અખ્તરે આપી હતી. એક બુક લોન્ચ ઇવેન્ટ દરમિયાન જાવેદ અખ્તરે તેમના જૂના મિત્ર અને રાઇટર પાર્ટનર સલીમ ખાનની હેલ્થને વાત કરી હતી. જાવેદ અખ્તરે જણાવ્યું હતુ કે, “સલીમ હવે ઠીક છે, ધીરે ધીરે રિકવર થઈ રહ્યાં છે. ખુરશી પર બેસીને વાતો કરી રહ્યાં છે અને પહેલાં કરતાં સારું છે.”

સલમાન ખાનના પિતા સલીમ ખાને 24 નવેમ્બર 2025 ના રોજ પરિવાર સાથે પોતાનો 90મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સલીમ ખાનની જોડી ફેમસ લેખક જાવેદ અખ્તર સાથે જાણીતી હતી, જેમને ‘જંજીર’, ‘દીવાર’, ‘શોલે’ અને ‘ડોન’ જેવી યાદગાર ફિલ્મો આપી. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી હતી. આટલું જ નહીં આ ફિલ્મોએ હિન્દી સિનેમાની છબી પણ બદલી.
નોંધનીય છે કે જ્યારે સલીમ ખાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવા પડ્યાં હતા ત્યારે પૂરો ખાન પરિવાર ત્યાં હાજર રહ્યો હતો. આટલું જ નહીં સંજય દત્તથી લઇને અનેક સેલેબ્સ સલીમ ખાનને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે હવે પિતાની હેલ્થમાં સુધારો થતા સલમાન ખાન કામ પર પરત ફર્યો છે. સલમાન ખાન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ ને લઇને વ્યસ્ત છે.


