રાજકોટમાં ફૂડ વિભાગની ટીમે ખાણીપીણીની કુલ 47 પેઢીઓમાં ઓચિંતી તપાસ કરીને ખાદ્ય સુરક્ષાના ધોરણોની ચકાસણી કરી હતી. કેટલીક જગ્યાએથી વાસી અને અખાદ્ય ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા.શહેરના ફૂડ વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે ફૂડ વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની કુલ 47 પેઢીઓમાં ઓચિંતી તપાસ કરીને ખાદ્ય સુરક્ષાના ધોરણોની ચકાસણી કરી હતી.

તપાસ દરમિયાન કેટલીક જગ્યાએથી વાસી અને અખાદ્ય ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા. ફૂડ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને કુલ 7 કિલો જેટલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ જપ્ત કર્યો હતો અને નાશ કર્યો હતો. આ પ્રકારની બેદરકારી ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ આકરી કામગીરી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન માત્ર અખાદ્ય પદાર્થો જ નહીં, પરંતુ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન પણ જોવા મળ્યું હતું. જેમાંથી 9 જેટલી પેઢીઓને તેમના રજીસ્ટ્રેશન કે લાયસન્સની વિસંગતતાઓને લઈને કડક નોટિસ ફટકારવામાં આવી છે. ફૂડ વિભાગે આ તમામ ધંધાર્થીઓને નિયમોનું પાલન કરવા અને લાયસન્સ અદ્યતન રાખવા કડક સૂચના આપી છે.


