ઇરાન ઇઝરાયલ યુએસ વચ્ચે યુદ્ધનો આજે 11મો દિવસ છે. ત્યારે ભારત સહિત અનેક દેશોમાં ઓઇલ અને ગેસનું સંક્ટ તોળાઇ રહ્યુ છે. તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી મળવા પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે વિદેશમંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ચર્ચા કરી.
પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 11 મા દિવસે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વધુ ઘેરું બન્યું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતની ગેસ આયાતમાં 30%નો ઘટાડો નોંધાયો છે, જેનાથી દેશમાં ઓઈલ અને ગેસના પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. આ કટોકટી વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાતમાં દેશની ઉર્જા સુરક્ષા જાળવવા, ઇંધણના ભાવ પર અંકુશ રાખવા અને વૈકલ્પિક આયાત માર્ગો શોધવા અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ભારતમાં વધી રહેલી LPGની અછત પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર અત્યારે ESMA (એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ) હેઠળ ઘરેલુ ગ્રાહકોને ૧૦૦% પુરવઠો આપવા માટે કટિબદ્ધ છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ખેંચાય તો ઉદ્યોગો અને ખાતર પ્લાન્ટ્સ પર તેની વધુ માઠી અસર પડી શકે છે. પીએમ મોદીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે તેલ અને ગેસના નવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો શોધવામાં આવે જેથી આરબ દેશો પરની નિર્ભરતા ઘટાડી શકાય.
વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં ભારતના મધ્યમ વર્ગ અને ગૃહિણીઓના રસોડાના બજેટ પર તેની ન્યૂનતમ અસર થાય તેવા પ્રયાસો કરવામાં આવે. આ બેઠક બાદ ટૂંક સમયમાં ગેસ વિતરણ અંગે નવી ગાઈડલાઈન્સ જાહેર થવાની શક્યતા છે.


