શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે મનુષ્ય માટે અશક્ય કામ પણ શક્ય બની જાય છે. આવો જ એક આસ્થાનો અનોખો કિસ્સો પંચમહાલના શહેરામાં જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના અમરાવતીના એક પિતા પોતાના દીકરાને મળેલા નવજીવન બદલ માતાજીની માનતા પૂરી કરવા માટે હાથ-પગમાં સાંકળ બાંધી, ભીષણ ગરમીમાં ડામરના રોડ પર ગબડતા-ગબડતા 1700 કિલોમીટર લાંબી વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળ્યા છે.
મહારાષ્ટ્રના અમરાવતી શહેરના રતનગણ કિશન નાથ બાબા મંદિર નજીક રહેતા અને લુહારકામ કરતા દેવીદાસ શિરપાદ થોરાતનો પુત્ર દુર્ગેશ જ્યારે પાંચ વર્ષનો હતો, ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા હાઈટેન્શન લાઈનનો કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. તબીબોએ પણ દીકરો બચવાની આશા છોડી દીધી હતી. તે સમયે લાચાર પિતાએ વૈષ્ણોદેવી માતાજીને બાધા રાખી હતી કે, ‘જો મારો પુત્ર બચી જશે તો હું પાંચ વાર તમારા દર્શને આવીશ, જેમાં ચાર વાર મારા ઘરેથી વૈષ્ણોદેવી સુધી ગબડતા-ગબડતા અને હાથ-પગમાં સાંકળ બાંધીને આવીશ.’
માતાજીની કૃપા અને પ્લાસ્ટિક સર્જરીના સફળ ઓપરેશન બાદ દુર્ગેશનો આબાદ બચાવ થયો. આજે તે પુત્ર સાજો સ્વસ્થ છે, અને તેના બદલામાં પિતા પોતાની કઠોર માનતા પૂરી કરી રહ્યા છે. દેવીદાસભાઈ અગાઉ બે વખત આ યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે, હાલ તેઓ ત્રીજી વખત આ કઠિન માર્ગ પર નીકળ્યા છે. તે દરરોજ અંદાજે 10થી 12 કિ.મી જેટલું અંતર રસ્તા પર ગબડતા-ગબડતા (આળોટીને) કાપે છે.

પોતાના વતન મહારાષ્ટ્રના અમરાવતીથી ગબડતા ગબડતા હાલ તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના માર્ગો પરથી પસાર થઈ શહેરા ખાતે આવી પહોંચ્યા હતા. વૈષ્ણોદેવીની યાત્રા કરવા ગબડતા ગબડતા જઈ રહેલા દેવીદાસ આગામી 9 મહિના પછી વૈષ્ણોદેવી પહોંચશે,જ્યાં તેઓની માનતા મુજબ ત્રીજી યાત્રા પૂર્ણ કરશે. જોકે તેઓની આસ્થા અને માતાજીની કૃપા નિહાળી પ્રભાવિત થયેલા પાડોશી પણ હાલ તેમની સાથે આસ્થાભેર માતાજીના દર્શને સાયકલ લઈને પગપાળા જઈ રહ્યા છે અને પોતાના પાડોશીને મદદરૂપ પણ થઈ રહ્યા છે. વૈષ્ણોદેવી જઈ રહેલા આ બંને આધેડ હાલ માર્ગમાં આવતા પાવાગઢ દર્શન કર્યા બાદ અંબાજી પણ દર્શન કરવાનું જણાવી રહ્યા છે. પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે તેઓ જે સાયકલ લઈને જઈ રહ્યા છે તે સાયકલને પેડલ પણ નથી રાખવામાં આવ્યા કે ચેઇન પણ નથી બેસાડવામાં આવી આ લોકો પૈડલ અને ચેન વગરની સાયકલનો ઉપયોગ માત્ર ને માત્ર તેઓ સામાન મૂકવા માટે જ કરી રહ્યા છે.


