ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર અર્શદીપસિંહ પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કડક પગલાં લેતા દંડ ફટકાર્યો છે. ગત રવિવારે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં અર્શદીપ અને મિચેલ વચ્ચે ચકમક ઝરી હતી. આ વિવાદને લઈને ICCએ અર્શદીપને આચાર સંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવ્યો છે.
અર્શદીપ પર ICCએ મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો છે. અર્શદીપ સિંહને ICC આચાર સંહિતાના આર્ટિકલ 2.9 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ખેલાડી તરફ અથવા તેની નજીક બોલ કે ક્રિકેટના સાધનોને અયોગ્ય કે જોખમી રીતે ફેંકવા સાથે જોડાયેલો છે. દંડ ઉપરાંત, અર્શદીપ સિંહના શિસ્ત રેકોર્ડમાં એક ‘ડિમેરિટ પોઈન્ટ’ પણ ઉમેરવામાં આવ્યો છે. નોંધનીય છે કે છેલ્લા 24 મહિનામાં અર્શદીપ દ્વારા કરવામાં આવેલું આવું પહેલું ઉલ્લંઘન છે.

8 માર્ચે ફાઈનલ મેચ દરમિયાન 11મી ઓવરમાં એક વિવાદાસ્પદ ક્ષણ સર્જાઈ હતી. અર્શદીપે બોલિંગ દરમિયાન પિચ પર ફિલ્ડિંગ કરી, બોલ સીધો ન્યૂઝીલેન્ડના બેટર ડેરિલ મિશેલ તરફ ફેંક્યો હતો, જે તેના પગ પર વાગ્યો હતો. આ ઘટના બાદ મેદાન પર ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. મિશેલે આ અંગે અમ્પાયરને ફરિયાદ કરી હતી અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો. જો કે અર્શદીપે મેચ બાદ મિશેલની માફી માંગી લીધી હતી.
જો કોઈ ખેલાડીના ખાતામાં 24 મહિનાની અંદર 4 ડિમેરિટ પોઈન્ટ જમા થાય, તો તેના પર એક ટેસ્ટ અથવા બે વ્હાઇટ-બોલ મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. , ઉલ્લેખનીય છેકે, ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના જેડન સીલ્સ પર યશસ્વી જયસ્વાલ તરફ બોલ ફેંકવા બદલ મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ ફટકારવામાં આવ્યો હતો.


