ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-વ્હિકલ(ઇલેક્ટ્રિક વાહન) પ્રત્યે લોકોનો ઝુકાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, પર્યાવરણ અંગે વધતી જાગૃતિને કારણે રાજ્યમાં ઈ-વ્હિકલ નોંધણીનો ગ્રાફ ઊંચે ચઢતો જોવા મળી રહ્યો છે. એક સમયે માત્ર પ્રાયોગિક ગણાતા ઈ-વ્હિકલ આજે સામાન્ય લોકો માટે પણ પસંદગીનું પરિવહન સાધન બની રહ્યા છે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગના આંકડાઓ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ઈ-વ્હિકલ નોંધણીમાં અનેક ગણો વધારો થયો છે. શરૂઆતમાં માત્ર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર અને ઇ-રિક્ષા સુધી મર્યાદિત રહેલી નોંધણી હવે ઇલેક્ટ્રિક કાર, બસ અને કોમર્શિયલ વાહનો સુધી વિસ્તરી ગઈ છે. શહેરોમાં વધતા પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાઓ વચ્ચે ઈ-વ્હીકલને પર્યાવરણમિત્ર વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાય યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે. ખાસ કરીને યુવાનો અને ડિલિવરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માગ વધી છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં ઈ-વ્હિકલ નોંધણીનો ગ્રાફ વધુ ઝડપથી વધતો જોવા મળે છે. શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા પણ ધીમે ધીમે વધારવામાં આવી રહી છે. ખાનગી કંપનીઓ ઉપરાંત સરકારી સંસ્થાઓ પણ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા આગળ આવી રહી છે.
પર્યાવરણના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ઈ-વ્હિકલ પ્રદૂષણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શહેરોમાં હવા પ્રદૂષણ ઘટાડવા માટે પણ ઈ-વ્હિકલઉપયોગી સાબિત થઈ શકે છે.
હાલમાં ઈ-વ્હિકલક્ષેત્રે કેટલાક પડકારો
ચાર્જિંગ સ્ટેશનની મર્યાદિત ઉપલબ્ધતા, બેટરી ખર્ચ અને લાંબા અંતરની મુસાફરી માટેની મર્યાદાઓ જેવી બાબતો લોકો માટે ચિંતાનો વિષય બને છે. જોકે ટેક્નોલોજીના વિકાસ સાથે આ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ઈ-વ્હિકલવધવાના મુખ્ય કારણો
- પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ
- સરકારની સબસિડી અને રાહતો
- પર્યાવરણ અંગે વધતી જાગૃતિ
- ડિલિવરી અને કોમર્શિયલ સેવાઓમાં વધતો ઉપયોગ
- શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનનો વિકાસ
ઈ-વ્હીકલના ફાયદા
- પ્રદૂષણમાં ઘટાડો
- ઇંધણ ખર્ચમાં બચત
- ઓછો મેન્ટેનન્સ ખર્ચ
- અવાજ પ્રદૂષણમાં ઘટાડો
- પર્યાવરણ માટે વધુ અનુકૂળ પરિવહન સાધન
ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન
ગુજરાતમાં અત્યાર સુધી ઇલેક્ટ્રિક વાહનોની કુલ સંખ્યા 1,08,209 સુધી પહોંચી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્યોર ઈલેક્ટ્રીક વાહનોના રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
વર્ષ 2026 : 15,918
વર્ષ 2025 : 66,534
વર્ષ 2024 : 25,753
ચાર મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનના આંકડા આ મુજબ છે
વર્ષ – 2026
અમદાવાદ – 3,991
સુરત – 3,095
વડોદરા – 1,466
રાજકોટ – 1,056
વર્ષ – 2025
અમદાવાદ – 16,648
સુરત – 12,165
વડોદરા – 6,993
રાજકોટ – 4,381
વર્ષ – 2024
અમદાવાદ – 6,468
સુરત – 4,850
વડોદરા – 2,543
રાજકોટ – 1,779
યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઈલમાં અસ્થિરતા, ઈલેક્ટ્રીક વાહનો તરફ લોકોનો વળાંક
વર્તમાન સમયમાં વિશ્વભરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ચિંતાજનક ફેરફારો જોવા મળી રહ્યા છે. તેના પ્રભાવથી પેટ્રોલ-ડીઝલ સહિતના ઇંધણના ભાવ અંગે લોકોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. બીજી તરફ ઘરેલુ તેમજ કોમર્શિયલ ગેસ માટે પણ ભારે દોડધામ જોવા મળી રહી છે.ઘણા વિસ્તારોમાં ગેસ સિલિન્ડર મેળવવા લોકો લાઈનમાં ઊભા રહેતા જોવા મળે છે. સાથે સાથે કેટલાક શહેરોમાં પેટ્રોલ પંપ પર પણ વાહનચાલકોની લાંબી લાઈનો લાગી રહી છે. ઇંધણની ઉપલબ્ધતા અને ભાવ અંગે લોકોમાં ચિંતા વધતા વાહનચાલકો વિકલ્પો શોધવા લાગ્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનો રસ વધતો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે ઘણા લોકો ઈલેક્ટ્રિક બાઈક અને કાર ખરીદવાની વિચારણા કરી રહ્યા છે. વાહન ડીલરોના જણાવ્યા મુજબ છેલ્લા થોડા દિવસોમાં ઈલેક્ટ્રીક વાહનો અંગે પૂછપરછમાં વધારો નોંધાયો છે.વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જો ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા યથાવત્ રહેશે તો આગામી સમયમાં ઈલેક્ટ્રીક વાહનો તરફ લોકોનો વળાંક વધુ વધવાની સંભાવના છે.


