સુરેન્દ્રનગર સબજેલમાં કેદીઓ વચ્ચે મોડી રાત્રે મારામારી થઈ છે.. 4 કેદીઓ ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.. 125 ની ક્ષમતા સામે 250 કેદીઓ હોવાથી વિવાદ થયો છે.ઝાલાવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરની સબજેલમાં મોડી રાત્રે કેદીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. જેલની બેરેકમાં સામાન્ય બાબતે શરૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કેદીઓ સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં ચાર કેદીઓને શરીરે ઇજાઓ પહોંચતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે જેલની બેરેકમાં રહેલા કેદીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. જેલ ગાર્ડ અને સત્તાધીશો સ્થળ પર પહોંચી મામલો થાળે પાડે તે પહેલા ચાર કેદીઓ લોહીલુહાણ થયા હતા. જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાએ ફરી એકવાર સુરેન્દ્રનગર સબજેલની સુરક્ષા અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. નોંધનીય છે કે આ જેલની વાસ્તવિક ક્ષમતા માત્ર 125 કેદીઓની છે, પરંતુ તેની સામે હાલમાં 250 થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. ક્ષમતા કરતા બમણા કેદીઓના કારણે અવારનવાર નાની બાબતોમાં વિવાદો સર્જાય છે અને જેલ સતત વિવાદોના કેન્દ્રમાં રહે છે.જેલમાં થયેલી આ મારામારી અંગે જેલ સત્તાધીશો દ્વારા એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.


