ચૈત્ર નવરાત્રિના પવિત્ર મંગલ પ્રારંભે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિધિ સંપન્ન થઈ છે. ભારતની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ‘શ્રી રામ યંત્ર’ ની સ્થાપના કરી છે. આ યંત્ર માત્ર ધાતુની એક આકૃતિ નથી, પરંતુ તે ભગવાન શ્રી રામના વિજય અને ગૌરવનું ગાણિતિક તેમજ આધ્યાત્મિક સ્વરૂપ માનવામાં આવે છે.
આ દિવ્ય રામ યંત્રનું નિર્માણ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા પવિત્ર શહેર કાંચીપુરમ ના એક મઠમાં કરવામાં આવ્યું હતું. આ યંત્ર વિશેષ ધાતુઓના મિશ્રણ અને સચોટ વૈદિક ગણતરીઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. 150 કિલો વજન ધરાવતું આ યંત્ર સંપૂર્ણપણે સોનાથી મઢેલું (Gold Plated) છે.
જે રીતે ‘શ્રી યંત્ર’ ને દેવી લક્ષ્મીનું પ્રતીક અને ભૌતિક સુખ-સમૃદ્ધિનું કારક માનવામાં આવે છે, તે જ રીતે ‘શ્રી રામ યંત્ર’ ને ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામની શક્તિ અને આતતાયીઓ પર તેમના વિજયના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. તે બ્રહ્માંડિક ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે, જે ભક્તોમાં સકારાત્મકતા અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરશે.

કાંચીપુરમમાં નિર્માણ પામ્યા બાદ આ યંત્રને આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે લઈ જવામાં આવ્યું હતું. ત્યાંથી 10 દિવસની ભવ્ય રથયાત્રા યોજીને તેને ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે લાવવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન ઠેર-ઠેર ભક્તોએ તેના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 10:30 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રામ લલ્લાના દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિએ મંદિરના બીજા માળે વૈદિક આચાર્યોની હાજરીમાં વિધિવત પૂજા કરી હતી. પૂજા પૂર્ણ થયા બાદ, આ ઐતિહાસિક યંત્રને મંદિરના દ્વિતીય તળ (બીજા માળે) સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સમગ્ર મંદિર સંકુલની મુલાકાત પણ લીધી હતી અને શ્રમિકો સાથે સંવાદ કર્યો હતો. આ સ્થાપના વિધિ સાથે અયોધ્યાના રામ મંદિરની આધ્યાત્મિક શક્તિમાં એક નવો આયામ ઉમેરાયો છે, જે ભારતની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે.


