ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમારોના આર્થિક હિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા માછીમારી બોટ માટેના ડીઝલના ભાવમાં કરવામાં આવેલો લિટર દીઠ રૂ. 22.43નો તોતિંગ વધારો હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યના હજારો માછીમારોને હવે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ ઉપલબ્ધ થશે.
ગુજરાત મત્સ્ય સંઘ (GFCCA) અને ભારત પેટ્રોલિયમ વચ્ચે થયેલી ટેન્ડર પ્રક્રિયા બાદ અચાનક ભાવ વધારો ઝીંકવામાં આવતા માછીમારોમાં ચિંતા પ્રસરી હતી. આ ગંભીર બાબતે સ્થાનિક આગેવાનો અને માછીમારી સંસ્થાઓએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકારમાં અસરકારક રજૂઆત કરી હતી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે: મત્સ્યોદ્યોગ ક્ષેત્રને ‘સ્પેશિયલ એક્સેપ્શન’ ગણીને રાહત આપવી જોઈએ. માછીમારોને ‘કન્ઝ્યુમર સેગમેન્ટ’ને બદલે રિટેલ ગ્રાહકોની સમકક્ષ ગણવા જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગુજરાતની આ વ્યાજબી રજૂઆતનો સ્વીકાર કર્યો છે. કેન્દ્ર દ્વારા ભારત પેટ્રોલિયમને આ ભાવ વધારો ત્વરિત અસરથી પાછો ખેંચવાની સૂચના આપવામાં આવી છે. “રાજ્ય સરકાર હંમેશા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. આ નિર્ણયથી દરિયાકાંઠાના પરિવારોને આર્થિક રક્ષણ મળશે.” – જીતુભાઈ વાઘાણી, મત્સ્યોદ્યોગ મંત્રી. આ ત્વરિત નિર્ણય બદલ મત્સ્યોદ્યોગ મંત્રીએ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીનો આભાર વ્યક્ત કર્યો છે.


