છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાંથી રવિવારે સવારે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સુપ્રસિદ્ધ ખલ્લારી માતા મંદિર ખાતે રોપવે તૂટી પડવાને કારણે એક મોટો અકસ્માત સર્જાયો છે.છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાંથી રવિવારે સવારે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સુપ્રસિદ્ધ ખલ્લારી માતા મંદિર ખાતે રોપવે તૂટી પડવાને કારણે એક મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં રાયપુરની 28 વર્ષીય યુવતી આયુષી સતકરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય સાત શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, રવિવારે સવારે આશરે ૧૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. નવરાત્રિના ઉત્સવને કારણે મંદિરમાં ભારે ભીડ હતી. ભક્તો પહાડ પર સ્થિત માતાજીના મંદિરના દર્શન કરી નીચે ઉતરી રહ્યા હતા. જ્યારે રોપવેની ટ્રોલી પાયા તરફ આવી રહી હતી, ત્યારે અચાનક લોખંડનો કેબલ તૂટી ગયો હતો. ટ્રોલીમાં તે સમયે કુલ આઠ લોકો સવાર હતા, જે તમામ હવામાંથી સીધા જમીન પર પટકાયા હતા.

અકસ્માત થતા જ આસપાસના લોકો અને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલ થયેલા તમામ સાત શ્રદ્ધાળુઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાની ગંભીરતા જોતા છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, “ખલ્લારી માતા મંદિરમાં રોપવે અકસ્માતના સમાચાર અત્યંત પીડાદાયક છે. દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. મેં અધિકારીઓને આ ઘટનાની વિગતવાર તપાસ કરવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાના આદેશ આપ્યા છે. જે કોઈ પણ વ્યક્તિ આ બેદરકારી માટે જવાબદાર હશે, તેને બક્ષવામાં આવશે નહીં.”


