પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં નકલી ટિકિટ કૌભાંડ બહાર આવતાં રેલવે તંત્ર ચોંકી ઉઠ્યું છે. ગત 21 માર્ચના રોજ અમદાવાદ સ્ટેશન પર પહોંચેલી ટ્રેનમાં નિયમિત ચેકિંગ દરમિયાન ટિકિટ ચેકિંગ સ્ટાફે સતર્કતા દાખવી 15 શખ્સોને ઝડપી પાડ્યાં હતાં.
પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં બાદ ટિકિટ ચેકિંગ દરમિયાન કેટલાક મુસાફરોની ટિકિટમાં એક સરખો સિરિયલ નંબર જોવા મળતાં શંકા ઉભી થઈ હતી. ક્યૂઆર કોડ સ્કેનિંગ અને ટેકનિકલ ચકાસણીમાં ટિકિટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. આગળ તપાસ કરતાં જાણવા મળ્યું કે, અસલી ટિકિટ સ્કેન કરી તેની 10-10 નકલો બનાવીને ગેરકાયદેસર રીતે વેચવામાં આવતી હતી.

આ કારસ્તાન પ્રયાગરાજમાં એટીવીએમ ફેસિલિટેટર તરીકે કામ કરતા કેટલાક શખ્સો દ્વારા ચલાવવામાં આવતું હતું. બાદમાં અસલી ટિકિટો પર રિફંડ મેળવી નકલી ટિકિટો મુસાફરોને વેચી ગેરકાયદેસર નફો કમાતો હતો. રેલવે પોલીસે મામલાની ગંભીરતાથી નોંધી લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.


