સુરતના ધાર્મિક અને યોગ ક્ષેત્રે એક મોટી સનસનાટી મચી ગઈ છે. યોગ ગુરુ તરીકે ઓળખાતા પ્રદીપની કહેવાતી ‘કામલીલા’ અને આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ આશ્રમના જ એક પૂર્વ સાધકે કર્યો છે. પૂર્વ સાધકે કરેલા ગંભીર આક્ષેપો અને રજૂ કરેલા પુરાવાઓએ આ કથિત ગુરુના અસલી ચહેરાને બેનકાબ કરી દીધો છે.
આશ્રમના પૂર્વ સાધકનો આક્ષેપ છે કે પ્રદીપ ગુરુ મહિલાઓ પ્રત્યે અત્યંત અશ્લીલ માનસિકતા ધરાવતો હતો. તે સાધ્વીઓ અને મહિલા ભક્તો સાથે બિભત્સ વાતો કરતો અને તેમની ગરિમાને ઠેસ પહોંચાડતો હતો. જો કોઈ મહિલા તેનો વિરોધ કરે અથવા અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે, તો તેને મોટી રકમની લાલચ આપી અથવા પૈસા આપીને ચૂપ કરાવી દેવામાં આવતી હતી.

પૂર્વ સાધકે એક ચોંકાવનારો પુરાવો રજૂ કર્યો છે કે પ્રદીપ ગુરુ આશ્રમમાં આવતી યુવતીઓ પાસે અગાઉથી જ લખાણ કરાવી લેતો હતો. આ લખાણમાં એવું લખાવવામાં આવતું કે “અમે અમારી મરજીથી આશ્રમમાં આવીએ છીએ,” જેથી ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી આવે તો તે પોતાની જાતને બચાવી શકે.માત્ર અશ્લીલતા જ નહીં, પણ આર્થિક રીતે પણ તે લોકોને ચૂનો લગાવતો હોવાના આક્ષેપ થયા છે. આશ્રમના વિકાસના નામે સાધકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ, જ્યારે સાધકો પોતાના પૈસા પાછા માંગતા, ત્યારે પ્રદીપ તેમને જાનથી મારી નાખવાની કે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતો હતો. પૂર્વ સાધકે પ્રદીપની ધમકીભરી ઓડિયો ક્લિપ પણ મીડિયા સમક્ષ રજૂ કરી છે.


