HomeRashifalBusinessBusiness : કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી...

Business : કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અને મધ્ય-પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવની સીધી અસર ભારતીય રૂપિયા પર જોવા મળી રહી છે. સોમવારે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક કડાકો બોલાયો હતો અને ઈતિહાસમાં પહેલીવાર રૂપિયો પ્રતિ ડૉલર 95ના ઓલ-ટાઇમ લો લેવલને પાર કરી ગયો હતો. જોકે, દિવસના અંતે 15 પૈસાની મજબૂતી સાથે તે 94.70 પર બંધ રહ્યો હતો. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં મચેલા આ હાહાકાર વચ્ચે દેશની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)નો એક મહત્ત્વનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ને રૂપિયાના મૂલ્યને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

SBIના ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે કે ભારત પાસે હાલમાં 700 અબજ ડૉલરથી વધુનું વિદેશી મુદ્રા ભંડાર(Forex Reserve) છે, જે આગામી 10 મહિનાથી વધુના આયાત ખર્ચને પહોંચી વળવા માટે પૂરતું છે. બેન્કનું કહેવું છે કે RBIએ આ ભંડારનો ઉપયોગ બજારમાં દખલગીરી કરવા અને રૂપિયાને વધુ પડતો ઘટતો અટકાવવા માટે કરવો જોઈએ. રિપોર્ટ અનુસાર, આટલું મજબૂત વિદેશી મુદ્રા ભંડાર સટ્ટાખોરોને ડરાવવા માટે પૂરતું છે અને જો કેન્દ્રીય બેન્ક બજારમાં ડૉલર વેચવાનું શરૂ કરે, તો રૂપિયામાં જોવા મળી રહેલો આ ઘટાડો તાત્કાલિક અટકી શકે છે.

SBI દ્વારા એવું પણ સૂચવવામાં આવ્યું છે કે ઓઇલ કંપનીઓ માટે ડૉલરની ખરીદી અર્થે એક અલગ ‘સ્પેશિયલ વિન્ડો’ની સુવિધા હોવી જોઈએ. અત્યારે ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ(OMCs) દરરોજ બજારમાંથી અંદાજે 250થી 300 મિલિયન ડૉલર ખરીદે છે. જો RBI આ કંપનીઓ માટે ડૉલરની અલગ વ્યવસ્થા કરી આપે, તો મુખ્ય બજારમાં ડૉલરની અછત વર્તાશે નહીં અને પરિણામે રૂપિયા પરનું દબાણ પણ હળવું થશે. આથી, આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે હવે માત્ર નિરિક્ષણ કરવાને બદલે રૂપિયાને સ્થિર કરવા માટે મજબૂત અને નક્કર પગલાં ભરવાનો યોગ્ય સમય આવી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments