ઘરઆંગણે રૂના ભાવમાં તાજેતરમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી ગારમેન્ટ તથા ટેકસટાઈલ નિકાસકારોએ રૂ પરની ૧૧ ટકા આયાત ડયૂટી દૂર કરવા સરકારને અનુરોધ કર્યો છે.
ઘરઆંગણે રૂના ભાવ ઊંચકાતા ગારમેન્ટ તથા ટેકસટાઈલ ઉદ્યોગમાં માર્જિન પર અસર પડી છે એટલુ જ નહીં નિકાસ બજારમાં સ્પર્ધાત્મકતા ઘટી ગઈ છે.

ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે સિન્થેટિક ફાઈબર્સના ભાવ વધી ગયા છે જેને કારણે મિલોએ કુદરતી કાચા માલ તરફ વળવું પડયું છે પરિણામે રૂના ભાવમાં છેલ્લા એક મહિનામાં ૮ ટકા જેટલો વધારો થયો છે.
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના સુત્રોના જણાવ્યા પ્રમાણે જિનિંગ કરેલા રૂના ભાવમાં એક મહિનામાં ૧૦થી ૧૨ ટકા વધારો થયો છે. ભારત ઉપરાંત રૂના વૈશ્વિક ભાવમાં પણ યુદ્ધને કારણે ૧૫ ટકા જેટલો વધારો થયો છે. ગારમેન્ટની નિકાસ માટે ભારતના ઉત્પાદકોએ લોન્ગ આયાતી સ્ટેપલ તથા રૂ પર આધાર રાખવો પડે છે.
ટેકસટાઈલની ૭૦ ટકા મૂલ્ય સાંકળ રૂ પર આધાર રાખતી હોવાથી રૂની આયાત પર કસ્ટમ ડયૂટી પાંચથી છ મહિના સુધી રદ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હોવાનું કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝના સુત્રોએ જણાવ્યું હતું.


