જ્હાન્વી કપૂરે તેની પહેલી ફિલ્મ ‘ધડક’ અને માતા શ્રીદેવીના નિધન બાદના સંઘર્ષ વિશે ભાવુક ખુલાસો કર્યો છે. જાણો કેમ આટલી મોટી હિટ ફિલ્મ બાદ પણ તે ડિપ્રેશનનો શિકાર બની હતી.
બોલિવૂડ સ્ટાર જ્હાન્વી કપૂરે તાજેતરમાં પોતાની કારકિર્દીના સૌથી મુશ્કેલ અને ભાવનાત્મક તબક્કા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. રાજ શમાણીના પોડકાસ્ટમાં જ્હાન્વીએ પહેલી ફિલ્મ ‘ધડક’ (2018) ના દિવસોને યાદ કર્યા. જહાનવી કહ્યું કે આજે ભલે લોકો મારી ફિલ્મ ‘ધડક’ ના વખાણ કરતા હોય પરંતુ મારા માટે તેની યાદો કડવી છે. તે ધડકના રિલીઝ સમયે માનસિક રીતે ભાંગી પડી હતી.
જ્હાન્વી માટે તેની પહેલી ડેબ્યુ ફિલ્મનો અનુભવ ખૂબ જ પીડાદાયક રહ્યો હતો. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તેની માતા અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું અવસાન થયું હતું. જ્હાન્વીએ ખુલાસો કર્યો કે, “માતાના મૃત્યુના આઘાત વચ્ચે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે બહારથી મળતી નકારાત્મકતા અને ટીકાઓએ મને હચમચાવી દીધી હતી. મને એવું લાગવા માંડ્યું હતું કે લોકો મને નફરત કરે છે. એકબાજુ માતા ગુમાવવાનું દુઃખ હતું. અને બીજી બાજુ ડેબ્યુ ફિલ્મ રિલીઝ વખતે લોકોની ટીકાઓ. હુ ડિપ્રેશનમાં સરી પડી. મને ડર લાગ્યો કે મારી કારકિર્દી શરૂ થતા પહેલા જ ખતમ થઈ ગઈ છે.

વધુમાં અભિનેત્રીએ કહ્યું કે બધા કહેતા કે મારી પહેલી ફિલ્મ ધડકે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું. ઇશાન ખટ્ટર અને મારા અભિનયની પણ લોકો પ્રશંસા કરી હતી. ફિલ્મના ગીતો આજે પણ લોકોને પસંદ છે. છતાં આ ફિલ્મ વખતે હું ડિપ્રેશનમાં હતી. મને આશા હતી કે પ્રેક્ષકો મને મારી માતાની જેમ જ તરત સ્વીકારી લેશે, જે શક્ય નહોતું. મારું ધ્યાન ફક્ત નેગેટિવિટી પર જ હતું. મને ખ્યાલ પણ નહોતો કે ‘ધડક’ તે સમયની મોટી હિટ હતી. મને લાગતું હતું કે હું એક ખરાબ એક્ટર છું.
નોંધનીય છે કે શશાંક ખૈતાન દ્વારા દિગ્દર્શિત “ધડક”, 2016 ની બ્લોકબસ્ટર મરાઠી ફિલ્મ “સૈરાટ” ની સત્તાવાર રીમેક હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રભાવશાળી ₹110.11 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ, જાહ્નવી કપૂરે “ગુંજન સક્સેના”, “ઘોસ્ટ સ્ટોરીઝ”, “રૂહી” અને “ગુડ લક જેરી” સહિત વિવિધ શૈલીની ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી. જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ સાથે તેલુગુ ફિલ્મ ‘પેડ્ડી’ માં જોવા મળશે, જે આ વર્ષે સિનેમાઘરોમાં ધમાક મચાવવા તૈયાર છે.


