બેડેશ્વર વિસ્તારમાં આવેલા વાલસુરા રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભારતીય નૌસેનાની તાલીમ પૂર્ણ કરી પરત ફરી રહેલી એક મહિલા તાલીમાર્થીનું કરૂણ મોત નીપજ્યું છે.
જામનગરના બેડેશ્વર પાસે આવેલા વાલસુરા રોડ પર ગત રોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ૨૨ વર્ષીય મહિલા તાલીમાર્થી અંશુ કિશનસિંહનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતક અંશુ કિશનસિંહ ભારતીય નૌસેનામાં તાલીમાર્થી તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના પુના ખાતે પોતાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને જામનગર પરત ફર્યા હતા. તેઓ જામનગર એરપોર્ટ પર ઉતરીને ત્યાંથી ટેક્સી અથવા ખાનગી કાર મારફતે આઈએનએસ વાલસુરા (INS Valsura) તરફ જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કાર ચાલક પોતાની ગાડી અત્યંત પૂરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રહ્યો હતો. બેડેશ્વરના વાલસુરા રોડ પર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર માર્ગ પર પલટીઓ ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. એક આશાસ્પદ યુવતીના મોતના સમાચારથી નૌસેના પરિવાર અને સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે આ મામેલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


