રાજકોટમાં સરકારી તંત્રમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા અને માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આરોગ્ય વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી કરાર આધારિત ફરજ બજાવતી આરતી પરમાર નામની મહિલા કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળીને ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.
હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી આરતી પરમારે મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેણે આક્ષેપ કર્યો છે કે, આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણી અને કિરણબેન નામની મહિલા અધિકારી દ્વારા તેને વારંવાર શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી. આરતીએ જણાવ્યું કે, “હું છેલ્લા ત્રણ વર્ષથી ઈમાનદારીથી નોકરી કરું છું, તેમ છતાં મને સતત હેરાન કરવામાં આવે છે. હદ તો ત્યારે થઈ જ્યારે મારો છેલ્લા મહિનાનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો.”

પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, આટલી ગંભીર ઘટના બની હોવા છતાં પોલીસ માત્ર તેની અરજી સ્વીકારી રહી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ લેવામાં આનાકાની કરી રહી છે. પગાર ન મળવાને કારણે અને સતત મળતા ત્રાસને કારણે આખરે કંટાળીને તેણે મોતનું વળગણ પકડ્યું હોવાનું જણાવ્યું છે. હાલમાં આરતી પરમારની હાલત સ્થિર છે.


