કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને ‘અભણ અને મૂર્ખ’ કહેવા મામલે વિવાદ વકર્યો છે. આ મામલે ખડગેએ સોશિયલ મીડિયા પર માફી માંગી હોવા છતાં, ભાજપે તેને અસ્વીકાર્ય ગણાવી છે. આજે દિલ્હીમાં લોકસભા સાંસદ અને ભાજપના સહ-પ્રવક્તા ધવલ પટેલની આગેવાનીમાં સમસ્ત ગુજરાતી સમાજે કોંગ્રેસ મુખ્યાલય બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શક્તિપ્રદર્શન કર્યું હતું.
સાંસદ ધવલ પટેલે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓનું અપમાન કરીને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. તેમની માફી માત્ર દેખાડો છે અને તે અમને મંજૂર નથી. આજે દિલ્હીમાં સમસ્ત ગુજરાતી સમાજે એકઠાં થઈને કોંગ્રેસના અહંકારને લપડાક લગાવી છે.

ધવલ પટેલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીને આડેહાથ લેતા પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓ વિશે આટલી અપમાનજનક ટિપ્પણી કરી છે, ત્યારે તમે ખડગેને સપોર્ટ કરશો કે ગુજરાત અને ગુજરાતીઓને? શું તમે તમારા નેતાના આ નિવેદનને વખોડો છો ખરા?
વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, આ લડાઈ માત્ર રાજકીય નથી, પરંતુ ગુજરાતની ગરિમા અને સ્વાભિમાનની છે. ગુજરાતનો ઇતિહાસ બહાદુરી અને સાહસનો રહ્યો છે, ત્યારે કોઈ પણ પક્ષ કે નેતા સમગ્ર રાજ્યના નાગરિકોને નીચું દેખાડે તે સહન કરવામાં આવશે નહીં.
દિલ્હી સ્થિત કોંગ્રેસના રાષ્ટ્રીય મુખ્યાલયની બહાર મોટી સંખ્યામાં ગુજરાતીઓ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ માગ કરી હતી કે, જાહેર પ્લેટફોર્મ પર ગુજરાતની ગરિમાને અપમાનિત કરવાની આ પ્રથાનો કાયમી અંત આવવો જોઈએ. જ્યારે પણ ગુજરાતના સ્વાભિમાનને પડકારવામાં આવશે, ત્યારે ગુજરાતનો દરેક પુત્ર અને પુત્રી એક થઈને જવાબ આપશે તેવી ગર્જના પણ કરવામાં આવી હતી.


