આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપનારા ગુજરાતના ફાયરબ્રાન્ડ યુવા નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની આગામી પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે. ‘આપ’ ના મજબૂત નેતા ગણાતા રાજુ કરપડાએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડા સત્તાવાર રીતે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપના આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને માત્ર રાજુ કરપડા જ નહીં, પરંતુ તેમની સાથે અમૃત મકવાણા, નીતિન પટેલ, કે. ડી. ઝાલા, રાજેન્દ્ર સિંહ રાઠોડ અને ધીરુભાઈ મેલાલિયા જેવા અન્ય અગ્રણી નેતાઓએ પણ ભાજપનો સાથ સ્વીકાર્યો છે. આ નેતાઓના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવે છે.

ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ ભાવુક નિવેદન આપતા જણાવ્યું હતું કે, “મેં 2017-18થી ખેડૂત સંગઠન ચલાવીને ખેડૂતોનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ૨૦૨૧માં હું એક ચોક્કસ પક્ષમાં જોડાયો જેથી ખેડૂતોનો અવાજ બુલંદ બનાવી શકાય. જ્યારે પણ કુદરતી આફતો આવી, ત્યારે મેં ખેડૂતો માટે અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “મને સમજાયું છે કે સરકાર સામે માત્ર વિરોધ પ્રદર્શન કરવાથી ખેડૂતોનું હિત નથી થતું, તેનાથી માત્ર નેતાનો ચહેરો ચમકે છે. ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે સત્તા અને સરકારના સાથની જરૂર છે. હું જ્યારે જેલમાં હતો ત્યારે સરકારે રાહત પેકેજ આપ્યું હતું, જેનાથી ખેડૂતોને ખરેખર ફાયદો થયો હતો. આથી, ખેડૂતોના હિત માટે હું ભાજપમાં જોડાયો છું.”
રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારના છે. 2017-18ના સમયગાળા દરમિયાન કપાસ અને મગફળીના ભાવો તેમજ પાક વીમા મુદ્દે તેમણે આક્રમક આંદોલનો કરીને ખેડૂત નેતા તરીકે ઓળખ બનાવી હતી. વર્ષ 2021માં તેઓ આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ચોટીલા બેઠક પરથી ‘આપ’ની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી. ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરવા બદલ તેઓ ઘણી વખત જેલ પણ જઈ આવ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પક્ષની આંતરિક નીતિઓથી નારાજ થઈ તેમણે ‘આપ’માંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ સત્તાધારી પક્ષ ભાજપના સાથી બન્યા છે.
રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં એક લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે.
ખેડૂત આંદોલન અને લોકપ્રશ્નો: રાજુ કરપડાએ સૌરાષ્ટ્રમાં વીમાના પ્રશ્ને અને ખેડૂતોના પડતર પ્રશ્નો માટે અનેક વખત આક્રમક આંદોલનો કર્યા હતા.
ગઢડા વિધાનસભા બેઠક: 2022 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ ગઢડા બેઠક પરથી ‘આપ’ ના મજબૂત ઉમેદવાર તરીકે મેદાનમાં હતા, જ્યાં તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેને કડી ટક્કર આપી હતી.
સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા: તેઓ પાયાના કાર્યકર તરીકે જાણીતા છે અને સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે, જે યુવા મતદારો પર પ્રભાવ પાડે છે.લડાયક મિજાજ: સરકારની નીતિઓ સામે અવારનવાર રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાને કારણે તેમની ગણના આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી નેતા તરીકે થતી હતી.
રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. તેમણે ઉમેર્યું કે, કાર્યકરોની ઉપેક્ષા અને પક્ષની આંતરિક કાર્યશૈલીને કારણે તેમણે ‘આપ’ સાથે છેડો ફાડ્યો છે. તેમના ભાજપમાં આવવાથી અમરેલી અને ગઢડા પંથકમાં ભાજપના સંગઠનને વધુ મજબૂતી મળવાની શક્યતા છે
ગઈકાલે ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા વર્ષ 2006ની બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. જ્યારે તેઓ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકે છે.


