ઉત્તર પ્રદેશના મથુરામાં હૃદય હચમચાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. શુક્રવારે બપોરે વૃંદાવનના પ્રખ્યાત કેસી ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક બોટ યમુના નદીમાં પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટનાના બે વીડિયો પણ સામે આવ્યા છે, જેમાંથી એક વીડિયોમાં લોકો જીવ બચાવવા નદીમાં સંઘર્ષ કરતા અને મદદ માટે બૂમો પાડતા દેખાય છે, જ્યારે બીજો વીડિયો દુર્ઘટનાના થોડા સમય પહેલાનો છે. જેમાં પંજાબથી આવેલા આ શ્રદ્ધાળુઓ ભગવાનના ભજન-કીર્તનમાં લીન થઈને નૌકાવિહારનો આનંદ માણી રહ્યા હતા.

ભજન-કીર્તનની રમઝટ વચ્ચે અચાનક બોટ પલટી જતાં સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાણકારી અનુસાર, આ બોટમાં કુલ 30 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં મહિલાઓ અને પુરુષો સહિત કુલ 10 મૃતદેહો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ 15 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને હજુ પણ 5 લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે, જેમની શોધખોળ માટે વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દર્દનાક દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, હોડી વૃંદાવન અને માન વચ્ચે મુસાફરોને લઈ જઈ રહી હતી. હોડીમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે અંદાજે 30 જેટલા લોકો સવાર હતા. કેસી ઘાટ પાસે નદીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદાર રીતે અથડાઈ હતી અને સંતુલન ગુમાવતા નદીના ઉંડા પાણીમાં પલટી ગઈ હતી.


