પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે અને તમામ પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે.પાર્ટીઓના સ્ટાર પ્રચારકો એક પછી એક રેલીઓ અને સભાઓનું આયોજન કરીને વધુમાં વધુ લોકોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રેલીઓ દરમિયાન નેતાઓના ભાષણો હેડલાઇન્સમાં છવાયેલા રહે છે. આવું જ એક નિવેદન હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની રેલી દરમિયાન આપ્યું હતું. PM મોદીએ કહ્યું કે બંગાળમાં તેમની રેલીઓમાં જેટલી ભીડ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેવો તેમણે અગાઉ ક્યારેય પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ જોયો નથી.
પૂર્વ બર્ધમાન જિલ્લામાં આયોજિત એક રેલીને સંબોધતા PM મોદીએ કહ્યું કે બપોરે 12 વાગ્યા જેવા સમયે આટલી મોટી સભા ભેગી કરવી સરળ નથી હોતી, પરંતુ બંગાળની જનતા દરેક વખતે આવું કરી બતાવે છે. તેમણે કહ્યું કે આ ઉત્સાહ આગામી ચૂંટણી પરિણામોનો સંકેત છે અને 4 મેના રોજ રાજ્યમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. પીએમ મોદીએ રેલીમાં હાજર લોકોના વખાણ કરતા કહ્યું કે આ જનસૈલાબ માત્ર એક ટ્રેલર છે, અસલી પરિણામ હજુ બાકી છે.

પોતાના ભાષણમાં PM મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંભવિત સરકાર બનવા પર મોટા નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો સૌથી પહેલા છેલ્લા 15 વર્ષમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર પર એક ‘વ્હાઇટ પેપર’ બહાર પાડવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ગભરાયેલા છે અને જનતાને ભ્રમિત કરી રહ્યા છે કે ભાજપ આવશે તો સરકારી યોજનાઓ બંધ થઈ જશે. PM મોદીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ કલ્યાણકારી યોજના બંધ નહીં થાય, પરંતુ ભ્રષ્ટાચાર અને લૂંટની વ્યવસ્થા ખતમ કરવામાં આવશે.
PM મોદીએ એવી પણ જાહેરાત કરી હતી કે જો ભાજપ સરકાર બનશે તો પહેલી કેબિનેટ બેઠકમાં જ આયુષ્માન ભારત યોજનાને રાજ્યમાં લાગુ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે વર્તમાન રાજ્ય સરકારે લાંબા સમય સુધી જનતાને આ યોજનાના લાભોથી વંચિત રાખી છે. આ સિવાય તેમણે ઘૂસણખોરીના મુદ્દે પણ કડક વલણ અપનાવવાની વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે માત્ર ઘૂસણખોરો પર જ નહીં, પરંતુ તેમને નકલી દસ્તાવેજો અપાવીને વસાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.


