રાજકોટ : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખા દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન વાડોદર ગામમાં કોઈ પણ માન્ય ડિગ્રી વગર એલોપેથીક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.સી. મિશ્રા અને તેમની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ અધેરા તથા નેમીષભાઈ મહેતાને મળેલી ખાનગી બાતમીના આધારે પાટણવાવના વાડોદર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં વિજયભાઈ નંદરામભાઈ ટીલાવત નામનો શખ્સ પોતાના કબજાના મકાનમાં ‘મારૂતી ક્લીનીક’ નામે દવાખાનું ચલાવી રહ્યો હતો. તેની પાસે એલોપેથીક પ્રેક્ટિસ માટેની કોઈ પણ કાયદેસરની ડિગ્રી કે સરકાર માન્ય લાયસન્સ ન હોવા છતાં તે ઈન્જેક્શન, સ્ટીરોઈડ ડ્રગ્સ અને એન્ટી બાયોટીક દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો.

પોલીસે સ્થળ પરથી વિવિધ ફાર્મા કંપનીઓની એલોપેથીક દવાઓ, મેડિકલ સાધનો અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૧,૪૯૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિજયભાઈ ટીલાવત વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટીશ એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઈ. એફ.એ. પારગી, પી.એસ.આઈ. જી.જે. ઝાલા, પી.એસ.આઈ. બી.સી. મિશ્રા તેમજ સ્ટાફના પિયુષભાઈ અઘેરા, નૈમિષભાઈ મહેતા, દિપાલસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ ડોડીયા જોડાયા હતા.


