છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મકાનના ધાબા પર કામ કરતી વખતે શ્રમિકને માથા પરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનમાંથી જોરદાર કરંટ લાગતા તેનું ધાબા પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વીજ કંપની પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ નસવાડી તાલુકાના કાળીદોરી ગામના ખુશાલ રાઠવા તરીકે થઈ છે. ઘટના સમયે ખુશાલ સાથે એક મિસ્ત્રી પણ હાજર હતો. મિસ્ત્રીના જણાવ્યા અનુસાર, ધાબા પર કામ કરતી વખતે નડતરરૂપ ઝાડની ડાળખી તોડવાનો પ્રયાસ કરતા તે ડાળખી હાઈ ટેન્શન લાઇનને અડી ગઈ હતી, જેના કારણે ખુશાલને જોરદાર કરંટ લાગ્યો હતો. અન્ય એક શ્રમિકે પાવડાના હાથા વડે તેને બચાવવા માટે મરણિયો પ્રયાસ કર્યો હતો, પરંતુ કરંટ એટલો ભયાનક હતો કે ડરના માર્યા તે પણ લાચાર બની ગયો હતો.
આ અકસ્માતે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)ની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક દુકાનદારે અગાઉ અનેકવાર આ જોખમી વીજ લાઇન હટાવવા માટે રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓએ લાઇન હટાવવા માટે રૂપિયા દોઢ લાખ ભરવાનું મૌખિકમાં જણાવ્યું હતું. એક નાનો વેપારી આટલી મોટી રકમ ભરી શકે તેમ ન હોવાથી લાઇન હટાવી શકાઈ નહોતી, અને આજે એ જ જીવતા વાયરોએ એક મજૂરનો જીવ લીધો છે.

ઘટનાની જાણ થતા જ મૃતક ખુશાલ રાઠવાના પરિવારજનો કાંધા ગામે દોડી આવ્યા હતા. વ્હાલસોયાના મોતના સમાચારથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. રોષે ભરાયેલા પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી ધાબા પરથી મૃતદેહ ઉઠાવવાનો ઇનકાર કરી દીધો હતો.
બનાવની જાણ થતા જ નસવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકો વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.


