બિહારના દરભંગા જિલ્લાના સુંદરપુર મહોલ્લામાં ઘરમાં ભીષણ આગ લાગવાની અને સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકોના મોત થયા હોવાની કરુણ ઘટના બની છે. રિપોર્ટ મુજબ સાંજે રસોડામાં ભોજન બનાવતી વખતે સિલિન્ડરમાં આગ લાગી હતી અને પછી ભયાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં પતિ-પત્ની અને ત્રણ મહિનાના બાળકનું દર્દનાક મોત થયું છે.
આ દુર્ઘટનામાં ગોવિંદ (પતિ), રિષિ કુમારી (પત્ની) અને તેમના માત્ર ત્રણ મહિનાના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અડધો ડઝન ગાડીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી સલીમ અખ્તર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્રણ મોતોની પુષ્ટિ કરી હતી. સ્થાનિક કાઉન્સિલર પ્રતિનિધિ ભગવાન લાલ ઠાકુરના જણાવ્યા અનુસાર, ગેસ સિલિન્ડર બોમ્બની જેમ ફાટતા આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. જે ઘરમાં ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં માતમ છવાઈ ગયો છે. હાલ વહીવટી તંત્ર દ્વારા રાહત અને સહાયની કામગીરી શરૂ કરવામાં આવી છે.


