ભારતીય મહિલાઓ હવે માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત નથી રહી. બંધ રૂમની મર્યાદાઓ અને સામાજિક બંધનોને તોડીને આજે દેશની દીકરીઓ રમતગમતના મેદાનથી લઈને અંતરિક્ષ સુધી પોતાની સફળતાનો ધ્વજ લહેરાવી રહી છે. આ સશક્તિકરણને નવી ઊંચાઈ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ અંગે દેશની માતાઓ, બહેનો અને દીકરીઓને એક ખુલ્લો પત્ર લખીને 2029ની ચૂંટણીમાં મહિલા આરક્ષણ સુનિશ્ચિત કરવાની મક્કમતા દર્શાવી છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે PM મોદીએ શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું કે, બંધારણે આપણને સમાનતાનો જે માર્ગ બતાવ્યો છે, તેના પર ચાલવું એ જ આપણી પ્રાથમિકતા છે. 16 એપ્રિલથી સંસદમાં આ ઐતિહાસિક સુધારા પર ચર્ચા શરૂ થવા જઈ રહી છે, જેનો ઉદ્દેશ્ય વિધાયી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી કાયમી ધોરણે વધારવાનો છે.

PM મોદીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ અને ‘લખપતિ દીદીઓ’ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. નવા ક્ષેત્રો જેમ કે સાયન્સ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓ નેતૃત્વ કરી રહી છે. વધુમાં PM મોદીએ લખ્યું છે કે સરદાર પટેલે વર્ષો પહેલા અમદાવાદ નગરપાલિકામાં મહિલા અનામતની પહેલ કરી હતી, જે સ્વપ્નને હવે પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે 2029ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ મહિલા આરક્ષણ સાથે યોજાય તે અત્યંત જરૂરી છે. જો આમાં વિલંબ થશે તો તે દેશની અડધી વસ્તી સાથે અન્યાય ગણાશે. જ્યારે દેશની દીકરીઓ નીતિ-નિર્ધારણમાં ભાગ લેશે, ત્યારે જ ‘વિકસિત ભારત 2047’નું લક્ષ્ય સાચા અર્થમાં સાકાર થશે. તેમણે દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ પોતપોતાના સાંસદોને પત્ર લખી આ ઐતિહાસિક ખરડાને સમર્થન આપવા પ્રોત્સાહિત કરે.


