સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં ગૂંગળામણ અને દાઝી જવાના કારણે પતિ-પત્નીનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે, જોકે આગ લાગવાના કારણ બાબતે પરિવાર અને તંત્ર વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
મૃતકના પરિજનોના જણાવ્યા અનુસાર, દંપતી રાત્રે મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયું હતું. તે દરમિયાન મોબાઈલની બેટરી ફાટતા આગની જ્વાળાઓ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી અને પતિ-પત્ની ઊંઘમાં જ હોમાઈ ગયા હતા. બીજી તરફ, સરકારી તંત્ર અને તપાસનીશ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ AC (એર કન્ડીશનર) માં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જણાય છે.

આ દુર્ઘટનામાં પરિવારજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે લીંબડી જેવા શહેરમાં ફાયર બ્રિગેડની યોગ્ય સુવિધા નથી. આગ લાગ્યા બાદ સ્થાનિક તંત્ર લાચાર જણાતું હતું અને છેક સુરેન્દ્રનગરથી ફાયર ફાઈટરોને બોલાવવા પડ્યા હતા. આ વિલંબને કારણે આગ વધુ પ્રસરી અને દંપતીને બચાવી શકાયા નહીં.
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી. ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.


