નેપાળમાં નવી બાલેન શાહ સરકાર બન્યા બાદ નવા વિવાદો શરૂ થયા છે. દેશમાં પ્રદર્શનો ચાલી રહ્યાં છે, જેની વચ્ચે બુધવારે (22 એપ્રિલ) બાલેન સરકારના ગૃહ પ્રધાન સુદન ગુરુંગે રાજીનામું ધરી દીધું. તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપો છે.

ગુરુંગે સપ્ટેમ્બર 2025ના જેન-ઝી આંદોલન દરમ્યાન સારી એવી ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ લોકપ્રિય પણ થયા. ચૂંટણી જીત્યા બાદ બાલેન સરકારમાં ગૃહ પ્રધાન બન્યા. પરંતુ પછીથી તેમની ઉપર નાણાકીય અનિયમિતતાના આરોપો લાગ્યા.
વિગતો એવી છે કે સુદન ગુરુંગ અને એક ઉદ્યોગપતિ દીપક કુમાર ભટ્ટની કંપનીઓ વચ્ચે અમુક શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા છે. ભટ્ટ વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ પહેલેથી ચાલી રહી છે.
જોકે ગુરુંગે આ બધા આરોપો નકારી દીધા છે અને કહ્યું છે કે નિષ્પક્ષ તપાસ થાય અને કન્ફ્લિક્ટ ઑફ ઇન્ટ્રેસ્ટની સ્થિતિ ન પેદા થાય તે માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે. તેમણે આ બાબતની સત્તાવાર ઘોષણા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. તેમણે તપાસમાં સહયોગ આપવાની વાત કહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 9 એપ્રિલના રોજ વડા પ્રધાન બાલેન શાહે પોતાના શ્રમ અને રોજગાર મંત્રી દીપક કુમાર સાહને પદ પરથી દૂર કરી દીધા હતા. દીપક સામે કાર્યવાહી કરવાની ભલામણ તેમની જ પાર્ટી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ જ કરી હતી. પાર્ટીએ કહ્યું કે સાહે પોતાના પદનો દુરુપયોગ કરીને તેમનાં પત્નીને હેલ્થ ઇન્સ્યોરન્સ બૉર્ડનાં સભ્ય બનાવી દીધાં હતાં, જે કોડ ઑફ કન્ડક્ટનું સીધું ઉલ્લંઘન છે.


