વૈશ્વિક અશાંતિ વચ્ચે ભારત આર્થિક મોરચે મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) થી દેશમાં અબજો ડોલરના રોકાણ સાથે રોજગારીની નવી તકો ખુલશે. આ કરારમાં ભારતીય નિકાસકારો અને પ્રોફેશનલ્સ માટે શું છુપાયેલું છે અને કયા ક્ષેત્રોને બાકાત રાખીને ખેડૂતોના હિત જળવાયા છે, તે જાણવું રસપ્રદ રહેશે.
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની અશાંતિ વચ્ચે ભારત માટે આર્થિક મોરચે મોટા અને સુખદ સમાચાર આવ્યા છે. ભારત અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટોનો સુખદ અંત આવ્યો છે. બંને દેશો સોમવારે દિલ્હીમાં ‘મુક્ત વેપાર કરાર’ (Free Trade Agreement – FTA) પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો છે.
દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ (Bharat Mandapam) ખાતે આ કરાર પર મહોર મારવામાં આવશે. આ પ્રસંગે ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ (Piyush Goyal) અને ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલે (Todd McClay) હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, 22 ડિસેમ્બર 2025ના રોજ આ કરારની રૂપરેખા તૈયાર થઈ ગઈ હતી, જેને હવે અમલી બનાવવામાં આવશે.

આ FTA હેઠળ ભારતીય કંપનીઓને ન્યુઝીલેન્ડના બજારમાં ‘ડ્યુટી-ફ્રી એક્સેસ’ (Duty-free Access) મળશે. આ ઉપરાંત, ભારતીય વ્યાવસાયિકો માટે કામચલાઉ રોજગાર વિઝા (Employment Visa) ની પ્રક્રિયા સરળ બનશે. ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ સાધનોની નિકાસ કરતા એકમો માટે ન્યુઝીલેન્ડ મોટું માર્કેટ સાબિત થશે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ કરારથી આગ્રાના ચામડાના નિકાસકારો (Leather Exporters) સહિત અનેક સ્થાનિક ઉદ્યોગો માટે નવી તકો ખુલશે.
ભારતે આ કરારમાં સ્થાનિક ખેડૂતો અને કૃષિ ક્ષેત્રનું વિશેષ ધ્યાન રાખ્યું છે. ડેરી ઉત્પાદનો (Dairy Products), ખાદ્ય તેલ અને શાકભાજી જેવી સંવેદનશીલ વસ્તુઓને આ મુક્ત વેપાર કરારમાંથી બાકાત રાખવામાં આવી છે. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી આવતા ઊન, કોલસો, વાઈન અને બ્લુબેરી જેવા ઉત્પાદનો પર ભારત ટેરિફમાં ઘટાડો કરશે. બંને દેશોએ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.


