જમ્મુ-કાશ્મીરના શોપિયાંના સૈદપોરા વિસ્તારમાં ગઈકાલે સાંજથી ચાલી રહેલી અથડામણમાં લશ્કરના 2 આતંકીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે. મીડિયા અહેવાલો અનુસાર માર્યા ગયેલા બંને આતંકીઓની ઓળખ લશ્કર-એ-તૈયબાના ટોપ ઓપરેટિવ ઝાકિર અહેમદ ગની અને તેના સાથી લતીફ ભટ તરીકે થઈ છે.જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સાંજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. આ એન્કાઉન્ટર સાંજે આશરે 7:45 વાગ્યે ચનપોરા ગામના સૈદપોરા પીન વિસ્તારમાં શરૂ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. સુરક્ષા એજન્સીઓને વિસ્તારમાં બે આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી મળતા સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આતંકી ઝાકિર અહમદ ગની અને લતીફ ભટ્ટ ફસાયા હોવાની આશંકા
તપાસ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતાં જવાબી કાર્યવાહી કરવામાં આવી અને અથડામણ શરૂ થઈ ગઈ. પ્રાથમિક માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ A++ કેટેગરીનો આતંકી ઝાકિર અહમદ ગની અને લતીફ ભટ્ટ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝાકિર ગની દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવાય છે અને તે અનેક આતંકી હુમલાઓ તથા ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં સંડોવાયેલો હોવાનું તપાસ એજન્સીઓનું કહેવું છે.
સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો
આ ઓપરેશનમાં ભારતીય સેનાની 44 આરઆર, 20 આરઆર, 34 આરઆર, 03 પેરા તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને શોપિયાં પોલીસની ટીમો સામેલ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ બે શંકાસ્પદ આતંકીઓના CCTV ફૂટેજ પણ મેળવ્યા છે. આ ફૂટેજની તપાસ કરીને એ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એન્કાઉન્ટર સ્થળે હાજર આતંકીઓ ખરેખર ઝાકિર ગની અને લતીફ ભટ્ટ જ છે કે નહીં. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન પૂર્ણ થયા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.


