ભારતમાં જળ સંસાધનોના ન્યાયી વિતરણ અને સહકારી સંઘવાદને મજબૂત કરવાના દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. નવી દિલ્હીમાં આયોજિત એક વિશેષ સમારોહમાં હરિયાણા અને રાજસ્થાન વચ્ચે યમુનાના પાણીની વહેંચણી અંગે એક મહત્વપૂર્ણ કરાર (MoA) કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Yamuna Water Agreement : સહકારી સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, આજે જળ સંસાધનોના સમાન, પારદર્શક અને સારા સંચાલન તરફ એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું. નવી દિલ્હીમાં આયોજિત એક ખાસ, ગૌરવપૂર્ણ સમારોહમાં રાજસ્થાન અને હરિયાણા વચ્ચે યમુનાના પાણીની વહેંચણી અંગે એક સીમાચિહ્નરૂપ કરાર (MoA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ ઐતિહાસિક કરાર પર માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજસ્થાનના માનનીય મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને હરિયાણાના માનનીય મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ હાજર હતા.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “જળ શક્તિ મંત્રાલય બંને રાજ્યોને આ ઐતિહાસિક કરારને અમલમાં મૂકવા, ટેકનિકલ સહાય પૂરી પાડવા અને જરૂરી માળખાગત સુવિધાઓ ઝડપથી વિકસાવવામાં મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”
રાજસ્થાનના અનેક જિલ્લાઓને મળશે લાભ
આ કરાર 1994ના અપર યમુના રિવર બોર્ડ કરાર અનુસાર, રાજસ્થાનને યમુના પાણીનો પોતાનો હિસ્સો મેળવવાનો માર્ગ મોકળો કરે છે. વધુમાં, પાઈપલાઈન/કનવેયન્સ સિસ્ટમ દ્વારા રાજસ્થાનના હિસ્સાનું પાણી રાજ્યને પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કરાર સહકારી સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ છે અને ચુરુ, સીકર અને ઝુનઝુનુ સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોની પીવાના પાણી અને અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ આ કરારને બંને રાજ્યોના વિકાસ માટે સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો.


