T20 વર્લ્ડ કપ 2026નું ટાઈટલ જીતીને ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો છે. ભારત આ ટ્રોફી રેકોર્ડ ત્રીજી વખત જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે. આ ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય ક્રિકેટમાં ભવિષ્યની તૈયારીઓ અને નવા કેપ્ટન અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ટી20 ફોર્મેટમાં કેપ્ટનશિપની રેસમાં અત્યારે સંજુ સેમસનનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ વર્લ્ડ કપમાં સતત 3 ફિફ્ટી ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સેમસનને હવે સૂર્યકુમાર યાદવના અનુગામી તરીકે જોવામાં આવી રહ્યો છે.
સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો છે, પરંતુ 35 વર્ષની ઉંમરે તેની લાંબી કેપ્ટનશિપ પર સવાલો ઊઠી શકે છે. વર્ષ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક અને આગામી ટી20 વર્લ્ડ કપ સુધીમાં સૂર્યા 37 વર્ષનો થઈ જશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ ભવિષ્યના પ્લાન પર કામ કરી રહી છે. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ સંજુ સેમસનને કેપ્ટન પદ માટે પ્રબળ દાવેદાર ગણાવ્યો છે. કૈફનું માનવું છે કે સંજુ પાસે તે અનુભવ અને સમજ છે જે એક સારા કેપ્ટન માટે જરૂરી હોય છે.

કૈફે સંજુના આઈપીએલ અનુભવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જો સૂર્યા પદ છોડે છે તો સંજુ તે જગ્યા ભરી શકે છે. તેણે રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર કેપ્ટનશિપ કરી છે અને ટીમને 2022ના ફાઈનલ સુધી પહોંચાડી હતી. હાલમાં તેની ઉંમર માત્ર 31 વર્ષ છે, જે તેને ટીમ ઈન્ડિયાના આગામી લાંબા ગાળાના કેપ્ટન બનવા માટે યોગ્ય ઉમેદવાર બનાવે છે.


