પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક રાજનીતિમાં આવી રહેલા બદલાવ વચ્ચે ચીનના સૂર બદલાયા છે. બીજિંગમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીની વિદેશ મંત્રી વાંગ યી એ ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકતા મોટું નિવેદન આપ્યું છે.
ચીની વિદેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું છે કે ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે ભાગીદાર તરીકે જોવા જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશો ‘ગ્લોબલ સાઉથ’ ના મહત્ત્વના સભ્યો છે અને તેમની વચ્ચે ઊંડા સાંસ્કૃતિક સંબંધો છે. વાંગ યીના મતે, બંને દેશો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ એશિયાના પુનરુત્થાન માટે અત્યંત જરૂરી છે, જ્યારે ટકરાવથી નુકસાન જ થશે.
વાંગ યી એ યાદ અપાવ્યું કે ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતે સંબંધોને નવી દિશા આપી છે. તેમણે દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે અને વિવિધ સ્તરે સંવાદ પણ વધ્યો છે. ચીની વિદેશ મંત્રીના મતે હવે બંને દેશોના સંબંધો સામાન્ય પટરી પર પરત ફરી રહ્યા છે.

સીમા પર શાંતિ અને ચાર મુખ્ય મુદ્દા
સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચીને ચાર મહત્વના મુદ્દા રજૂ કર્યા છે:
એકબીજાને ખતરો નહીં પણ ‘અવસર’ તરીકે જોવા.
સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી.
પરસ્પર વિશ્વાસ વધારીને એશિયાના વિકાસમાં સહયોગ આપવો.
વિકાસને જ સૌથી મોટો ‘સામૂહિક પાયો’ ગણીને વ્યવહારુ સહયોગ કરવો.
શા માટે ચીનને ભારતની યાદ આવી?
નિષ્ણાતોના મતે, અમેરિકા દ્વારા ચીનને આર્થિક અને વ્યૂહાત્મક રીતે ઘેરવાના પ્રયાસો તેજ થયા છે. અમેરિકાએ વેનેઝુએલા અને હવે ઈરાન પર દબાણ વધારીને ચીનના હિતોને નુકસાન પહોંચાડ્યું છે. આવી સ્થિતિમાં ચીન આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું ન પડી જાય તે માટે ભારત અને રશિયા જેવા પડોશી દેશો સાથે દોસ્તીનો હાથ લંબાવી રહ્યું છે. ખાસ કરીને બ્રિક્સ (BRICS) ના માધ્યમથી ચીન ભારતનો સાથ ઈચ્છી રહ્યું છે.


