ઈરાનની રાજધાની તેહરાનમાં શુક્રવારે ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે પાકિસ્તાની દૂતાવાસ અને રાજદૂત આવાસની અત્યંત નજીક જોરદાર ધડાકા સંભળાયા. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તેહરાન છેલ્લા 28 દિવસથી સતત હવાઈ હુમલાઓનો સામનો કરી રહ્યું છે અને આ તાજેતરની ઘટના તે જ શ્રેણીનો એક ભાગ છે.આ ધડાકા તેહરાનના પાસદારન જિલ્લામાં ગુરુવારે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની દૂતાવાસની બિલકુલ સામે આવેલું એક ઈરાની સૈન્ય બેઝ આ હુમલાનું સંભવિત લક્ષ્ય હતું. વિસ્ફોટ એટલા શક્તિશાળી હતા કે આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો.
એક વરિષ્ઠ રાજદ્વારીએ જણાવ્યું કે, ધડાકા તીવ્ર હોવા છતાં દૂતાવાસની ઇમારત અને કર્મચારીઓના આવાસ સુરક્ષિત છે. જોકે, આ ઘટનાથી કર્મચારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, બારીઓના કાચ નથી તૂટ્યા, પરંતુ સતત થતા હુમલાઓને કારણે સ્ટાફમાં ભયનો માહોલ છે.આ ઘટના એવા સમયે બની છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નવી મોહલત આપવાનો દાવો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનના ઉર્જા મથકો પર આગામી 10 દિવસ સુધી કોઈ હુમલા કરવામાં આવશે નહીં.નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ શરૂ થયેલું આ યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયાને લપેટમાં લઈ રહ્યું છે. આ સંઘર્ષની અસર વૈશ્વિક અર્થતંત્ર અને તેલની કિંમતો પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

ઈરાનના નાયબ સ્વાસ્થ્ય મંત્રી અલી જાફરિયન (Ali Jafarian) ના જણાવ્યા અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનમાં કુલ 1,937 લોકોના મોત થયા છે, જેમાં 240 મહિલાઓ અને 212 બાળકોનો સમાવેશ થાય છે. બીજી તરફ, ઈરાનના જવાબી હુમલાઓમાં ઇઝરાયલમાં પણ અનેક લોકોના મોત થયાના અહેવાલો છે.


