મધ્ય પૂર્વમાં વધતા ભૂ-રાજકીય તણાવ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં શિપિંગ પરના જોખમો વચ્ચે ભારત માટે મોટા અને હકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર અવરોધો હોવા છતાં, પેટ્રોલિયમ ઉત્પાદનો વહન કરતા વધુ બે વેપારી જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં ભારતીય બંદરો પર પહોંચે તેવી અપેક્ષા છે.
આ જહાજોની અભેદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌકાદળ હાલમાં ‘હાઈ એલર્ટ’ પર છે. પર્સિયન ગલ્ફ અને તેની આસપાસના વ્યૂહાત્મક વિસ્તારોમાં ભારતીય યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. નૌકાદળ કોઈપણ સંભવિત ખતરાને પહોંચી વળવા અને ભારતીય વેપારી જહાજોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પરિસ્થિતિ પર ચોવીસ કલાક નજર રાખી રહ્યું છે.

આગામી દિવસોમાં વધુ જહાજો આ જ રૂટ પરથી ભારત પહોંચવાની શક્યતા છે. આ વિકાસ દર્શાવે છે કે વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં, ભારત તેની ઊર્જા પુરવઠા શૃંખલા (Energy Supply Line) જાળવી રાખવામાં સફળ રહ્યું છે, જેનાથી દેશમાં ઇંધણના સંભવિત સંકટનો ખતરો ઓછો થયો છે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં અખાત ક્ષેત્રમાં ભારતીય જહાજો કે ખલાસીઓ સાથે કોઈ પણ અનિચ્છનીય ઘટના બની નથી. હાલમાં પર્સિયન ગલ્ફમાં અંદાજે 20 ભારતીય ધ્વજ ધરાવતા જહાજો કાર્યરત છે. આ જહાજો પર સવાર તમામ 540 ભારતીય ખલાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા મુજબ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગનું કોમ્યુનિકેશન સેન્ટર દિવસ-રાત સક્રિય છે. છેલ્લા 24 કલાકમાં આ સેન્ટરને 98 કોલ અને 335 ઈમેઈલ મળ્યા છે, જેનો ત્વરિત પ્રતિસાદ આપી મુસાફરો અને જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું હતું કે ભારત પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સતત સંપર્કમાં છે. તાજેતરમાં 4 LPG જહાજોએ પણ આ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો છે, જે ભારતની સક્રિય રણનીતિની સફળતા દર્શાવે છે.


