HomeBreaking NewsTop News : AAP એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવાયા,...

Top News : AAP એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવાયા, સચિવાલયને પત્ર લખી કહ્યું-તેમને બોલવા ન દો

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા માટે મુશ્કેલ સમય શરૂ થયો હોય તેવું લાગે છે. પાર્ટીએ એક ચોંકાવનારા નિર્ણયમાં તેમને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને હવે સાંસદ અશોક મિત્તલને AAP ના નવા ઉપનેતા તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ ફેરબદલ માત્ર પદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ ગંભીર શિસ્તભંગના કારણો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સચિવાલયને નોટિસ, બોલવા પર પણ કાપ

આશ્ચર્યજનક વાત એ છે કે, આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને સત્તાવાર જાણ કરી છે કે રાઘવ ચઢ્ઢાને પાર્ટીના નેતા તરીકે ગૃહમાં બોલવાની તક આપવામાં ન આવે. સંસદીય નિયમો મુજબ, દરેક પક્ષને તેમના સભ્યોની સંખ્યાના આધારે બોલવા માટે નિશ્ચિત સમય ફાળવવામાં આવે છે. પદ પરથી હટાવવાને કારણે હવે રાઘવ ચઢ્ઢાનો સંસદમાં બોલવાનો વ્યક્તિગત સમય પણ ઘટી જશે, જે તેમના રાજકીય કદ માટે મોટો ઝટકો ગણાય છે.

કાર્યવાહી પાછળનું સંભવિત કારણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી રાઘવ ચઢ્ઢા પક્ષની હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા વિના સ્વતંત્ર રીતે મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા. એરપોર્ટ પર મોંઘી ચાથી લઈને ડિલિવરી બોયના પ્રશ્નો સુધીના મુદ્દાઓ તેમણે જોરશોરથી રજૂ કર્યા હતા, પરંતુ આરોપ છે કે તેમણે આ અંગે પાર્ટીની પૂર્વ મંજૂરી લીધી ન હતી. પક્ષની લાઇન અને શિસ્તનું પાલન ન કરવા બદલ તેમને અગાઉ ચેતવણી પણ આપવામાં આવી હોવાનું મનાય છે. પક્ષના નેતૃત્વને એવું લાગી રહ્યું હતું કે તેઓ ચોક્કસ વિષયો પર પક્ષની વિચારધારાથી અલગ વલણ અપનાવી રહ્યા છે.

કોણ છે અશોક મિત્તલ?

રાઘવ ચઢ્ઢાના સ્થાને નિયુક્ત થનારા અશોક મિત્તલ પંજાબથી રાજ્યસભાના સાંસદ છે અને જાણીતા શિક્ષણવિદ છે. પક્ષે હવે તેમના પર ભરોસો મૂકીને રાજ્યસભામાં પોતાની રણનીતિ આગળ ધપાવવાનું નક્કી કર્યું છે. મિત્તલની નિમણૂક સૂચવે છે કે AAP હવે સંસદમાં વધુ સંયમિત અને શિસ્તબદ્ધ વલણ ઈચ્છે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments