દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર એક દુ:ખદ ઘટના સામે આવી છે. કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના ધનાવડ પાસે ઝીરો પોઇન્ટ પર ઋષિકેશથી ઇન્દોર જતી એક સ્લીપર બસ ટ્રક સાથે ટકરાઇ હતી. આ ઘટના બાદ બસમાં આગ લાગી હતી જેમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્સપ્રેસ વે પર ચારે તરફ બુમાબુમનો અવાજ સંભળાતો હતો અને રસ્તો લોહીથી લથપથ થઇ ગયો હતો.
બનાવની જાણ થતા જ પોલીસ અધીક્ષક પીયૂષ દીક્ષિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરી રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. પીયૂષ દીક્ષિતે જણાવ્યું કે, દુર્ઘટનામાં 22 લોકો ઘાયલ થયા છે જેમાં બાળકો પણ સામેલ છે જેમની સારવાર દૌસા જિલ્લાની હોસ્પિટલમાં ચાલી રહી છે. 9 ઘાયલોની ઓળખ થઇ ગઇ છે. પ્રાથમિક તપાસમાં પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બસ ચાલકને ઊંઘ આવતા આ દુર્ઘટના સર્જાઇ હતી. જોકે, દુર્ઘટનાનું સાચા કારણની તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, બુધવાર વહેલી સવારે 3 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ પુરી રીતે તૂટી ગયો હતો અને તેમાં આગ લાગી હતી. બસમાં ફસાયેલા 5 મુસાફરોના જીવતા સળગી જવાને કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 2 અન્ય મુસાફરોને માથામાં ગંભીર ઇજાને કારણે મોત થયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ અને બચાવ દળ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.
સમયસર ફાયરબ્રિગેડ પહોંચતી તો અનેક જીવ બચી જાત:
આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્યને લઇને ગંભીર સવાલ ઉભા થઇ રહ્યા છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને એક્સપ્રેસ વે મેનેજમેન્ટને સુચના આપવામાં આવી હતી પરંતુ એક કલાક સુધી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી નહતી. ગ્રામીણોનું કહેવું છે કે જો સમયસર રાહત અને બચાવ કાર્ય શરૂ થઇ જાત તો બસમાં ફસાયેલા કેટલાક મુસાફરોના જીવ બચાવી શકાતા હતા. ગ્રામીણોએ દાવો કર્યો કે મદદની રાહ જોતા મુસાફરો બસની અંદર જ ફસાયેલા રહ્યા હતા જેમાંથી પાંચ લોકોના જીવતા સળગી જવાને કારણે મોત થયા હતા. પોલીસ મૃતકોના શબને કબજે કરીને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં મૂક્યા છે જ્યારે ઘાયલોની સારવાર ચાલી રહી છે. વહીવટીતંત્ર અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરી રહ્યું છે.


