દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2515 ને ટેકનિકલ ખામીના કારણે રનવે પરથી પાછી ટર્મિનલ પર લાવવી પડી. રનવે પર ઉભેલી ફ્લાઇટની અંદર એર કન્ડિશનિંગ (AC) બંધ કરી દેવામાં આવ્યું. ભીષણ ગરમી અને બંધ કેબિનમાં કલાકો સુધી ફસાયેલા રહેવાથી મુસાફરોની તબિયત બગડવા લાગી.
મુસાફરો રિફંડની માગને લઈને દિલ્હી એરપોર્ટ પર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ફ્લાઇટ દરરોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરે છે. 1:45 વાગ્યે ઇન્દોર પહોંચે છે. ટેકનિકલ સમસ્યાના કારણે વિલંબ થયો. તેના સાંજે 5 વાગ્યા સુધીમાં ઇન્દોર પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ એર ઇન્ડિયાએ ફ્લાઇટ રદ કરી દીધી છે.
ઘટનાક્રમની શરૂઆત દિલ્હી એરપોર્ટ પર ગેટ બદલવાથી થઈ. બોર્ડિંગ પહેલાં બે વાર ગેટ બદલવામાં આવ્યો, જેના કારણે અફરાતફરી રહી. વિમાનમાં બેસાડ્યા પછી ટેકનિકલ ક્લિયરન્સ ન મળવાને કારણે ફ્લાઇટને લાંબા સમય સુધી રનવે પર ઉભી રાખવામાં આવી.મુસાફરોનું કહેવું છે કે વિલંબ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી અને ક્રૂ તરફથી પણ સંતોષકારક જવાબો મળ્યા ન હતા. સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી, ત્યારબાદ વિમાનને પાછું ટર્મિનલ પર લાવવામાં આવ્યું.

એરપોર્ટ પર ઉતરતા જ મુસાફરોએ એર ઇન્ડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ પ્રદર્શિન કર્યું. મુસાફરોએ એરલાઇન પર સુરક્ષા સાથે ચેડા કરવા અને બેજવાબદાર વર્તનનો આરોપ લગાવ્યો. ઘણા મુસાફરો વૈકલ્પિક વ્યવસ્થા અથવા રિફંડની માગ સાથે એરપોર્ટ પર અડગ છે.
શાલિન જૈન નામના મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એર ઇન્ડિયાને ટેગ કરીને લખ્યું- એર ઇન્ડિયાની બેદરકારી દિવસેને દિવસે નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. AI-2516 ઇન્દોર-દિલ્હી ફ્લાઇટ, જે બપોરે 2:15 વાગ્યે નિર્ધારિત હતી, દર 30 મિનિટે સમય બદલતા હવે સાંજે 6 વાગ્યે જણાવવામાં આવી રહી છે. શું આ ફ્લાઇટ આજે રવાના થશે?
તેના જવાબમાં એર ઇન્ડિયાએ રિપ્લાય કરતા લખ્યું- મિસ્ટર જૈન, અમે તમારી વાત સમજીએ છીએ. અમે તમારા અનુભવ પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ. આ વિલંબ ઓપરેશનલ કારણોસર થયો છે. અમારી ટીમ અસુવિધા ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તમારી ધીરજ બદલ આભાર.


