વર્ષ 2027ના અંતે વિધાનસભાની ચૂંટણી પહેલા 26મી એપ્રિલ 2026ને આજે રવિવારે ગુજરાતમાં સૌથી મોટાપાયે મતદાન યોજનાર છે.રાજ્યમાં પહેલીવાર ઉનાળામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે.
વર્ષ 2027ના અંતે વિધાનસભાની ચૂંટણી પહેલા 26મી એપ્રિલ 2026ને આજે રવિવારે ગુજરાતમાં સૌથી મોટાપાયે મતદાન યોજનાર છે.રાજ્યમાં પહેલીવાર ઉનાળામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. 393 સંસ્થાઓની 10005 બેઠકો માટે હાલની ચૂંટણીમાં વોટિંગ પહેલા જ 736 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે.રવિવારે સવારે 7થી સાંજે 6 કલાક એમ 11 કલાકમાં યોજનારી ચૂંટણીમાં SIR પછી 4 કરોડ 8 લાખ 16 હજાર 713 નાગરીકોને મતાધિકાર મળ્યો છે. જેઓ પોતાના વતી પાંચ વર્ષ માટે પાલિકા- પંચાયતમાં વહિવટ કરવા 25537 ઉમેદવારોમાંથી 9262ને ચૂંટશે.

રાજ્ય ચૂંટણી આયોગની અખબારી યાદી મુજબ 15 મનપામાં 43 બેઠકો બિનહરિફ થઈ છે. પરંતુ એકપણ વોર્ડ સંપૂર્ણ બિનહરિફ નથી. આથી તમામ મહાનગરોમાં તમામ મતદારોને મતદાન કરવાની તક ઉપલબ્ધ થશે. પરંતુ, 84નગરપાલિકાઓમાં બિનહરિફ 385 બેઠકોમાંથી 53 વોર્ડમાં તો ચારેય ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. આથી, 53 વોર્ડને બાદ કરતા 603 વોર્ડના મતદારોને મત આપવાની તક ઉપલબ્ધ ચાર ઉમેદવારોને ચૂંટવા મતદાર મળ્યો છે. આથી ચાર મત આપ્યા બાદ દરેકે ઈવીએમમાં છેલ્લે રજિસ્ટ્રેશનનું બટન દબાવવું જરૂરી રહેશે. ગ્રામિણ ક્ષેત્રે પંચાયત રાજની સંસ્થાઓમાં તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર ઉમેદવારી નહીં થતાં અને ત્રણ બેઠકો પર ઉમેદવારોનું અવસાન થતાં છ બેઠકો માટે ચૂંટણી રદ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા આ ત્રણેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મતદારો છે. રવિવારે સવારે સૌથી પહેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ ઠક્કરબાપા નગરમાં સરદાર વલ્લભાઈ પટેલ શાળા સંકુલ, મુખ્યમંત્રી સવારે 10 કલાકે શિલજ પ્રાથમિક શાળામાં, કેન્દ્રીય ગૃહમંત્રી સવારે 11 કલાકે નારણપુરા સબ ઝોનલ ઓફિસમાં મતાધિકારનો ઉપયોગ કરશે.જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર પાટિલ સુરતમાં ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિશુ વિહાર શાળામાં સવારે 9 કલાકે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે મત આપીને ગાંધીનગર આવશે.


