મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝની સામુદ્રધુની નજીક બીજું એક ગુજરાતી માલવાહક જહાજ ‘હાજી અલી’ ડૂબી ગયું. ‘હાજી અલી’ નામનું આ જહાજ ૧૩ મેની સવારે ઓમાનના પાણીમાં પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના પર ડ્રોન અથવા મિસાઈલ જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ, જહાજમાં આગ લાગી ગઈ. જોકે, ઓમાન કોસ્ટ ગાર્ડે તમામ ૧૪ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા.
ભારતે બુધવારે ઓમાનના દરિયાકાંઠે ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલા હુમલાની સખત નિંદા કરી. વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આવા હુમલાઓને સહન કરી શકાય નહીં. સત્તાવાર નિવેદન મુજબ, ઓમાનના દરિયાકાંઠે ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે. અમે વાણિજ્યિક જહાજો અને નાગરિક ખલાસીઓને સતત નિશાન બનાવવાની નિંદા કરીએ છીએ.
દરમિયાન, વિદેશ મંત્રાલયે તમામ ભારતીય ક્રૂ સભ્યોની સલામતીની પુષ્ટિ કરી અને ઓમાની સત્તાવાળાઓનો આભાર માન્યો, લખ્યું, “જહાજ પર સવાર ભારતીય ક્રૂ સુરક્ષિત છે અને અમે ઓમાની સત્તાવાળાઓનો તેમના બચાવ માટે આભાર માનીએ છીએ.” ભારત પુનરોચ્ચાર કરે છે કે વાણિજ્યિક શિપિંગને નિશાન બનાવવું, નિર્દોષ નાગરિક ક્રૂ સભ્યોને જોખમમાં મૂકવું, અથવા અન્યથા નેવિગેશન અને વાણિજ્યની સ્વતંત્રતાને અવરોધિત કરવાનું ટાળવું જોઈએ.

જહાજ બર્બેરા બંદરથી શારજાહ જઈ રહ્યું હતું. જહાજ સવારે લગભગ 3:30 વાગ્યે ઓમાની કિનારે અકસ્માતનો ભોગ બન્યું. ક્રૂ સભ્યોએ વિસ્ફોટક જેવી વસ્તુ જહાજને અથડાતી સાંભળી હોવાનું જણાવ્યું. ત્યારબાદ જહાજમાં આગ લાગી. પરિસ્થિતિ વધુ વણસી જતાં, તમામ 14 ક્રૂ સભ્યો લાઇફબોટનો ઉપયોગ કરીને જહાજ છોડીને ગયા. આ સમય દરમિયાન ઓમાની સત્તાવાળાઓએ ભારતીય ક્રૂ સભ્યોને મદદ કરવા માટે આગળ આવ્યા.
નોંધનીય છે કે અગાઉ 7 મેના રોજ, ગુજરાતના દ્વારકાથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતું બીજું કાર્ગો જહાજ MSV AL ફૈઝ નૂર સુલેમાની-I પણ યુએસ અને ઈરાની નૌકાદળ વચ્ચે ગોળીબારનું લક્ષ્ય બન્યું હતું.


