ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય ખન્નાએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં E20 પેટ્રોલના બદલે E10 કરવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. તેમણે જણાવ્યું કે હાલમાં ચાલી રહેલી ચર્ચા માત્ર એ બાબત પર છે કે શું જૂના વાહનો માટે 10% ઇથેનોલ મિશ્રણ ધરાવતા E10 ઇંધણનો વિકલ્પ આપવો જોઈએ કે નહીં. BPCLની વાર્ષિક સામાન્ય સભા પછી યોજાયેલી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી.
સરકારના નિર્ણય સામે BPCL સજ્જ
સંજય ખન્નાએ જણાવ્યું કે જો સરકાર ઇથેનોલ મિશ્રણ નીતિમાં કોઈ ફેરફાર કરવાનો નિર્ણય લેશે, તો BPCL માટે E20 માંથી E10 માં શિફ્ટ થવામાં કે તેને સંભાળવામાં કોઈ ઓપરેશનલ અથવા લોજિસ્ટિકલ પડકાર નથી. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, “મેં એવું ક્યારેય નથી કહ્યું કે E20 ને E10 માં બદલવામાં આવશે. કેટલાક વર્તુળોમાં માત્ર એ જ ચર્ચા થઈ રહી છે કે જૂના વાહનોના ચાલકોને ઓછું ઇથેનોલ ધરાવતા પેટ્રોલનો વિકલ્પ મળવો જોઈએ કે નહીં.”

જૂના વાહનો માટે ઇંધણના વિકલ્પો
ઉલ્લેખનીય છે કે E10 પેટ્રોલમાં 10% ઇથેનોલ અને 90% પેટ્રોલ હોય છે, જ્યારે E20 માં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ હોય છે. BPCLના પ્રમુખે ઉમેર્યું કે જૂના વાહનો માટે E10 ઉપલબ્ધ કરાવવાના વિકલ્પો ચકાસવામાં આવી રહ્યા છે. એક જ સમયે પેટ્રોલના અલગ-અલગ ગ્રેડને સપ્લાય કરવા અને તેને હેન્ડલ કરવા સંબંધિત કેટલાક પડકારો ચોક્કસ છે, અને તે બાબતે હાલમાં વિચારણા ચાલી રહી છે.
પેટ્રોલિયમ મંત્રાલયની સ્થિતિ સ્પષ્ટ
તાજેતરમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક ફેક્ટશીટ બહાર પાડીને એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે 2023 પહેલાં બનેલા વાહનો E20 પેટ્રોલ પર ચાલી શકતા નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 3.5 વર્ષથી વધુ સમયથી E15-પ્લસ અને 2.5 વર્ષથી વધુ સમયથી E19-E20 ઇંધણનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન એન્જિન ખરાબ થવાની કે વાહન ખોટકાયાની કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જો ઇથેનોલ મિશ્રણથી એન્જિનને નુકસાન થતું હોત તો મોટી સંખ્યામાં વોરંટી ક્લેમ કે ફરિયાદો સામે આવી હોત.


