જીવો એવું કે વિદાય પણ ઉત્સવ બની જાય!
કર્મની શાહિથી લખો કીરદાર, તો જ મળશે શાનદાર સત્કાર
આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો ‘શું મેળવ્યું?’ પાછળ દોડી રહ્યા છે, ત્યાં આ પંક્તિ યાદ અપાવે છે કે અંતે તો ‘તમે કેવા હતા?’ એ જ મહત્વનું છે.
વ્યક્તિત્વની સુગંધ જ્યારે પદ નહીં, પણ કિરદાર બોલે છેમાણસ આખી જિંદગી સંપત્તિ, સત્તા અને હોદ્દા પાછળ ખર્ચાય જાય છે. તેને લાગે છે કે બંગલાની ઊંચાઈ તેની પ્રતિષ્ઠા વધારશે, પણ હકીકતમાં માણસની ઊંચાઈ તેના બંગલાથી નહીં, પણ તેના કિરદાર (ચરિત્ર)થી મપાય છેઈમાનદારી એટલે માત્ર પૈસાની બાબતમાં પારદર્શક રહેવું એવું નથી. ઈમાનદારી એટલે તમારા શબ્દો, તમારા વ્યવહાર અને તમારી ફરજ પ્રત્યે વફાદાર રહેવું. જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે પણ તમે સાચો રસ્તો પસંદ કરો, એ જ તમારી સાચી ઈમાનદારી છે.
શા માટે ‘જનાજો’ શાનદાર નીકળશે?
જ્યારે કોઈ વ્યક્તિ દુનિયા છોડીને જાય છે, ત્યારે લોકો તેની બેંક બેલેન્સ જોવા નથી આવતા. લોકો એ યાદ કરે છે કે તે માણસ મુશ્કેલીમાં કેટલો અડગ હતો, કોઈના આંસુ લૂછવામાંતેનો હાથ કેટલો આગળ હતો અને તેના શબ્દોમાં કેટલી સચ્ચાઈ હતી.કિંમત હંમેશા કપડાંની હોય છે, પણ કદર હંમેશા કિરદારની થાય છે.
જેનું ચરિત્ર શુદ્ધ છે, તેના વિદાય ટાણે આખું શહેર ઉમટી પડે છે. એ ભીડ ભાડે લાવેલી નથી હોતી, પણ તે વ્યક્તિએ જીવનભર કમાયેલા પ્રેમ અને સન્માનનું પરિણામ હોય છે. એ ‘શાનદાર’ જનાજો એ વાતની સાબિતી છે કે આ માણસે પૃથ્વી પર જીવીને જગતને કંઈક સારું આપ્યું છે. ઇતિહાસ સાક્ષી છે.

લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન હોવા છતાં તેમની પાસે પોતાની માલિકીની કાર ખરીદવાના પૈસા નહોતા. લોન લઈને કાર લીધી હતી. આજે પણ જ્યારે તેમનું નામ લેવાય છે, ત્યારે લોકો નતમસ્તક થઈ જાય છે. આ છે ‘ઈમાનદાર કિરદાર’ની તાકાત.અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ભવન છોડતી વખતે તેમની પાસે માત્ર થોડા પુસ્તકો અને કપડાં જ હતા. પણ જ્યારે તેમનું નિધન થયું, ત્યારે આખા દેશે આંસુ સારેલા. એ જનાજો માત્ર શાનદાર નહોતો, તે ઐતિહાસિક હતો.આપણે બધા ‘સેલિબ્રિટી’ બનવા માંગીએ છીએ, પણ ‘વ્યક્તિત્વ’ (Personality) બનાવવાનું ભૂલી જઈએ છીએ. યાદ રાખો, રૂપ અને રંગ સમય જતાં કરમાઈ જશે, પણ તમારો સ્વભાવ અને તમારી ઈમાનદારી પેઢીઓ સુધી જીવતી રહેશે.તમારા જીવનનું પુસ્તક એવી રીતે લખો કે જ્યારે છેલ્લું પાનું વંચાય, ત્યારે વાંચનારની આંખમાં આંસુ હોય અને દિલમાં તમારા માટે સન્માન.દુનિયામાં આવ્યા છો તો ભલે ખાલી હાથે જવાનું હોય, પણ પાછળ એવો ‘સુવાસ’ છોડતા જજો કે લોકો કહે, માણસ ભલે ગયો, પણ તેની માનવતા આજે પણ આપણી વચ્ચે જીવે છે.

Writer : દર્શના પટેલ (નેશનલ એવોર્ડથી સન્માનિત) સ્પોર્ટ્સ ટીચર


