પોતાના સુરીલા અવાજથી દુનિયાને મોહિત કરનાર આશા ભોંસલેનું નિધન થયું છે. તેઓ છેલ્લે તેમની મનપસંદ ફિરોઝી સાડી, મોતીનો હાર અને કપાળ પર બિંદી પહેરેલા જોવા મળ્યા હતા.
સુરોની મલિકા અને ભારતીય સંગીત જગતનો એક ચમકતો સિતારો હંમેશ માટે વિદાય થઈ ગયો છે. આશા ભોંસલે, જેમનો અવાજ દાયકાઓ સુધી કરોડો હૃદય પર રાજ કરતો હતો, તે હવે માત્ર યાદો બનીને આપણી સાથે રહેશે. પોતાની અંતિમ સફર પર નીકળેલા આશા ભોંસલેની જે તસવીરો સામે આવી છે, તેણે દરેક સંગીત પ્રેમીની આંખો ભીની કરી દીધી છે.
આશા તાઈને સાડીઓ ખૂબ પસંદ હતી, તૈયાર થવાનો તેમને ઘણો શોખ હતો. તેમની અંતિમ સફર માટે તેમને એ જ સાદગી અને ગરિમા સાથે તૈયાર કરવામાં આવ્યા હતા, જેના માટે તેઓ આખી જિંદગી જાણીતા રહ્યા. આશા ભોંસલેને તેમની પસંદગીની ફિરોઝી (વાદળી) રંગની સાડી પહેરાવવામાં આવી હતી, તેમના ગળામાં મોતીની માળા સાથે ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો હતો. તેમના કપાળ પર સજેલી બિંદી તેમના એ અંદાજને અકબંધ રાખતી જોવા મળી રહી છે, જેને દુનિયાએ હંમેશા વખાણી છે. તેમને જોઈને એવું લાગતું હતું જાણે તેઓ ગાઢ નિદ્રામાં સૂતા હોય. તેમના ચહેરા પર એ જ શાંતિ હતી જે તેમના ગાયેલા ભજનો અને ગઝલોમાં સંભળાતી હતી.

આશા ભોંસલેના અંતિમ દર્શન માટે મનોરંજન અને રમતગમત જગતની તમામ દિગ્ગજ હસ્તીઓ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ દરમિયાન સૌથી ભાવુક ક્ષણ એ હતી જ્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર ત્યાં પહોંચ્યા. સચિન, આશા તાઈની ખૂબ નજીક હતા અને તેમને પોતાની માતા જેવું સન્માન આપતા હતા. સચિન ભાવુક થઈ ગયા હતા.
1933માં જન્મેલા આશા ભોંસલેએ માત્ર 10 વર્ષની ઉંમરે ગાયકીની શરૂઆત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી, ગુજરાતી અને અંગ્રેજી સહિત ૨૦થી વધુ ભાષાઓમાં હજારો ગીતો ગાયા. તેમના જવાથી માત્ર મંગેશકર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સંગીત જગતને એવી ખોટ પડી છે, જેની ભરપાઈ અશક્ય છે.


