ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. સુરત તરફથી આવી રહેલી એક કિયા કાર આગળ ચાલતા મોટા વાહન સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
તમામ લોકો રવિયાણા ગામના એક જ પરિવારના હતા
મળતી વિગતો મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો રવિયાણા ગામના એક જ પરિવારના હતા.પરિવાર સુરત તરફથી આવી રહ્યો હતો. રવિયાણા ગામના ચાર લોકો કિયા કારમાં સવાર હતા. દરમિયાન માતર નજીક કાર આગળ જઈ રહેલા એક મોટા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે.
ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો
પ્રાથમિક અનુમાન મુજબ, ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.

કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને ખસેડાયા
પોલીસે સ્થાનિકોની મદદથી તમામ મૃતદેહો અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિની કરજણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અવારનવાર બનતી અકસ્માતની ઘટનાઓને પગલે વાહનચાલકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.


