સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સુરત જિલ્લાના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. બારડોલી તાલુકા પંચાયતની કડોદ-2 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવારે અંતિમ ઘડીએ પોતાનું નામાંકન પરત ખેંચતા આ બેઠક બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે.
કડોદ-2 બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હેતલબેન ચૌધરીએ આજે સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું. હેતલબેને ફોર્મ પરત ખેંચતાની સાથે જ મેદાનમાં એકમાત્ર ભાજપના ઉમેદવાર જાગૃતિબેન હળપતિ બાકી રહ્યા હતા, જેથી ચૂંટણી અધિકારી દ્વારા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન બારડોલી મામલતદાર કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ આમને-સામને આવી જતાં ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી, જ્યારે ભાજપના છાવણીમાં વિજયનો ઉત્સાહ છવાયો હતો.
ચૂંટણીના મતદાન પહેલા જ એક બેઠક અંકે કરી લેતા ભાજપે મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી છે. હવે જોવાનું એ રહેશે કે, આગામી દિવસોમાં અન્ય બેઠકો પર જંગ કેટલો રસપ્રદ બને છે.


