ભારતીય સંસદના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, 193 સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે મોરચો માંડી તેમને હટાવવા માટે સંસદમાં નોટિસ આપી છે. INDIA ગઠબંધનના સાથી પક્ષો તૃણમુલ કોંગ્રેસ,આમ આદમી પાર્ટી સહિતના તમામ પક્ષોએ CEC જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદમાં નોટિસ આપી છે. રિપોર્ટ મુજબ, વિપક્ષના 193 સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં જુદી-જુદી નોટિસ આપી છે. આ સાંસદોમાં લોકસભાના 130 અને રાજ્યસભાના 63 સાંસદો સામેલ છે.
વિપક્ષોની નોટિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મુખ્ય સાત આક્ષેપો કરાયા છે. વિપક્ષે સીઈસી વિરુદ્ધ પક્ષપાતી આચરણ, ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓની તપાસમાં જાણીજોઈને અવરોધ ઊભો કરવો, મોટા પાયે મતદારોને મતાધિકારથી વંચિત રાખવા અને ચૂંટણી પંચની સ્વતંત્રતાને પ્રભાવિત કરવા જેવા આક્ષેપો કર્યા છે.

પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસે વિપક્ષના તમામ સાથી પક્ષોને એક કરીને આ નોટિસ પાઠવી છે. નોટિસમાં બંગાળમાં SIR કામગીરી દરમિયાન લાખો મતદારોના નામ કાપી નાખ્યા હોવાનો અને ભાજપને ફાયદો પહોંચાડવાનું ષડયંત્ર રચાયું હોવાનો પણ દાવો કરાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એસઆઈઆરની ટીકા કરીને કડક શબ્દોમાં કહ્યું હતું કે, વિપક્ષના મતદારોને હટાવવાનો પ્રયાસ કરાયો છે. આવી જ રીતે બિહાર અને અન્ય રાજ્યોમાં પણ એસઆઈઆરનો વિવાદ થયો હતો, જેમાં વિપક્ષે એસઆઈઆરથી ચૂંટણીમાં ધાંધલી કરવાનો આક્ષેપ કર્યો હતો.
વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી પંચની કાર્યપ્રણાલી નિષ્પક્ષ નથી અને સત્તાધારી પક્ષની તરફેણમાં કામ કરે છે. વિપક્ષની નોટિસમાં બંધારણની કલમ 324(5)નો ઉલ્લેખ કરાયો છે. આ કલમ મુખ્ય ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ હટાવવાની પ્રક્રિયા છે. મહાભિયોગ પસાર કરાવવા માટે બંને ગૃહોમાં બે-તૃતિયાંશ બહુમતી જરૂરી છે, જે વિપક્ષ પાસે નથી. બીજીતરફ આ મુદ્દે સરકાર કે ચૂંટણી પંચ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. અગાઉ CEC જ્ઞાનેશ કુમારે SIRને યોગ્ય મતદારોને સામેલ કરવાની અને અયોગ્ય મતદારોને હટાવવાની પ્રક્રિયા ગણાવી હતી.


