આ અંગે ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ જણાવ્યું કે હાલ દેશમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ તાત્કાલિક અછત સર્જાય તેવી શક્યતા નથી.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય તેલ ટેન્કરોને લઈને ભારત સક્રિય બન્યું છે. અહેવાલ મુજબ ભારત હોર્મુઝ સ્ટ્રેટમાંથી લગભગ 20 ટેન્કરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા ઈરાન સાથે સતત ચર્ચા કરી રહ્યું છે.
આ અંગે ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ જણાવ્યું કે હાલ દેશમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ તાત્કાલિક અછત સર્જાય તેવી શક્યતા નથી. તેમ છતાં પરિસ્થિતિ પર સરકાર સતત નજર રાખી રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી બાદ વૈશ્વિક તેલ બજારમાં ચિંતા વધી છે. યુદ્ધની સ્થિતિને કારણે LPG, ગેસ અને ક્રૂડ ઓઈલથી ભરેલા ઘણા ટેન્કરો હાલ હોર્મુઝ ખાડી વિસ્તારમાં ફસાયેલા છે.

આ દરમિયાન હોર્મુઝ વિસ્તારમાંથી પસાર થતા જહાજો પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને તેલ પુરવઠા પર અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત અને ઈરાન વચ્ચે રાજનૈતિક સ્તરે પણ ચર્ચા થઈ રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે તાજેતરમાં વાતચીત થઈ છે.
ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થાય તે પહેલાં ભારતના કુલ ક્રૂડ ઓઈલ આયાતમાંથી લગભગ 45 ટકા પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવતો હતો. તેથી આ વિસ્તારની પરિસ્થિતિ ભારતની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


