નવસારીમાં જગદીશ વિશ્વકર્માએ સામાજિક અને વ્યાપારી આગેવાનો સાથે ગોષ્ઠિ યોજી હતી. કાર્યકરોને વિકાસ અને ઈકોનોમીના પાઠ ભણાવી બિનહરીફ વિજેતા ઉમેદવારોનું સન્માન કર્યું હતું.
નવસારીમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં એક મહત્વની ગોષ્ઠિ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નવસારીના નામાંકિત સામાજિક આગેવાનો અને અગ્રણી વ્યાપારીઓ સાથે જગદીશ વિશ્વકર્માએ ખાસ સંવાદ કર્યો હતો. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વ્યાપારીઓ માટેની નીતિઓ વિશે ચર્ચા કરી હતી.

બેઠક દરમિયાન જગદીશ વિશ્વકર્માએ પક્ષના કાર્યકરોને સંબોધન કરતા વિકાસના પાઠ ભણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, માત્ર ચૂંટણી જીતવી જ મહત્વની નથી, પરંતુ દેશની ઈકોનોમી અને તેના વિકાસમાં દરેક કાર્યકરનું યોગદાન હોવું જોઈએ. વિશ્વકર્માએ વૈશ્વિક સ્તરે ભારતની વધતી આર્થિક શક્તિ વિશે સમજૂતી આપી કાર્યકરોને જન-જન સુધી વિકાસના કાર્યો પહોંચાડવા હાકલ કરી હતી.
ગોષ્ઠિ અને ચર્ચા પૂર્ણ થયા બાદ જગદીશ વિશ્વકર્માએ ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર થયેલા ઉમેદવારોનું સન્માન કર્યું હતું. પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને તમામ વિજેતા ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


