કાશ્મીર ઘાટીમાં કામ કરી રહેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓને ફરી એકવાર સુરક્ષાની ચિંતા સતાવવા લાગી છે. છેલ્લા કઈંક સમયથી મળી રહેલી ધમકીઓ વચ્ચે કર્મચારીઓએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. તેમનું કહેવું છે કે ‘તેઓ લગભગ 15 વર્ષથી ઘાટીમાં પોતાનું જીવન ફરીથી વસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે તેમને ફરીથી વિસ્થાપન તરફ ધકેલાઈ જવાનો ડર છે’.
ઓલ PM પેકેજ એમ્પ્લોઇઝ ફોરમના પ્રમુખ સની રૈનાએ પત્રમાં કાશ્મીરી હિન્દુ કર્મચારીઓ અને તેમના પરિવારોની ચિંતા સામે મૂકી છે. કર્મચારીઓએ જણાવ્યું કે તાજેતરની દરેક ધમકી તેમને 1990ના દશકની યાદ અપાવે છે. તે સમયે પણ ધમકીભર્યા પત્રો અને નોટિસ ડરનો માહોલ બનાવવાના પ્રારંભિક સંકેતો હતા. બાદમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોને ઘાટી છોડવી પડી હતી.
ધમકીઓએ ચિંતા વધારી
ઘાટીમાં સ્થિતિ ત્યારે વધુ વણસવા લાગી, જ્યારે છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન વડાપ્રધાન પુનર્વસન પેકેજ (PM પેકેજ) હેઠળ તેનાત કર્મચારીઓને સતત ધમકીઓ મળવા લાગી. ઘણા પત્રોમાં તો સીધું અલ્ટીમેટમ આપવામાં આવ્યું કે તેઓ તેમની સરકારી નોકરી છોડી દે, નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ કેસો પાછળ ‘યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલ’ (ULC) નામનું સંગઠન સામે આવી રહ્યું છે.

વાત માત્ર પત્રો સુધી સીમિત ન રહી, પરંતુ કર્મચારીઓનો અંગત ડેટા ઓનલાઇન લીક થવાથી દહેશત વધુ વધી ગઈ. સોશિયલ મીડિયા પર તેમના ફોન નંબર, ઘરના સરનામા અને વાહનોના રજીસ્ટ્રેશન નંબર પણ વાયરલ કરી દેવામાં આવ્યા.
અમિત શાહ પાસે સુરક્ષા વધારવાની કરી માગ
હવે નવી ચીઠ્ઠીમાં કર્મચારીઓએ ધમકીઓને ગંભીરતાથી લઇ તપાસ કરાવવાની માંગ કરી છે.
‘કાશ્મીર છોડવા નથી માંગતા’
કર્મચારીઓએ પોતાની ચિઠ્ઠીમાં સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ખીણ છોડવા નથી માંગતા. તેમનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષ તેમણે એ જિંદગીને ફરી બનાવવામાં લગાવ્યા છે જે ઘણાં દશક પહેલા વેરાન થઇ ગઇ હતી.


