ચાંદખેડામાં ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતના મામલામાં FSL ના રિપોર્ટની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જોકે, આ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ બાબત સામે ન આવતા તપાસમાં મોટો વળાંક આવ્યો છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું ખાધા બાદ બે સગી બહેનોના મોતના સમાચારથી સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનામાં પોલીસ માટે સૌથી મોટો આધાર ગણાતા FSL (Forensic Science Laboratory) ના રિપોર્ટની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પોલીસને મળી ગયો છે. જોકે, આ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ બાબત સામે ન આવતા તપાસમાં મોટો વળાંક આવ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, FSL રિપોર્ટમાં બાળકીઓએ જે ખીરું ખાધું હતું તેમાં કોઈ ઝેરી પદાર્થ કે વાંધાજનક તત્વો મળી આવ્યા નથી. રિપોર્ટમાં કંઈપણ શંકાસ્પદ ન જણાતા પરિવાર અને પોલીસની આશંકાઓ પર હવે સવાલો ઉઠી રહ્યા છે. આ અગાઉ પ્રાથમિક રીતે એવું માનવામાં આવતું હતું કે ફૂડ પોઈઝનિંગ અથવા ખીરામાં કોઈ ઝેરી પદાર્થના કારણે બાળકીઓના જીવ ગયા છે.
FSL રિપોર્ટમાં ‘નીલ’ પરિણામ આવતા હવે ચાંદખેડા પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર બની ગયો છે. જો રિપોર્ટમાં કંઈ શંકાસ્પદ નથી, તો પછી બે માસૂમ બાળકીઓના મોત પાછળનું સાચું કારણ શું? શું આ મોત પાછળ કોઈ મેડિકલ કારણ છે કે પછી અન્ય કોઈ રહસ્ય? પોલીસ હવે મેડિકલ એક્સપર્ટ્સ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આગળની તપાસ હાથ ધરશે.


