અદાણી ફાઉન્ડેશનની 30મી વર્ષગાંઠ નિમિત્તે ‘સ્વાભિમાન’ કાર્યક્રમનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની 1 લાખ અને ભારતની 10 લાખ મહિલાઓને ઉદ્યોગસાહસિક બનાવવાનું લક્ષ્ય છે.
અદાણી ગૃપની સામાજિક પાંખ (સોશિયલ વિંગ) અદાણી ફાઉન્ડેશને તેની 30મી વર્ષગાંઠ પૂર્વે મહિલા સશક્તિકરણ માટેના ‘સ્વાભિમાન’ કાર્યક્રમના ભવ્ય વિસ્તરણની જાહેરાત કરી છે. મુંબઈના NCPA ખાતે આયોજિત “સ્વાભિમાન – ધ રાઇઝ ઓફ શી” કાર્યક્રમમાં ડૉ. પ્રીતિ અદાણીએ ભારતભરની 10 લાખ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર અને ઉદ્યોગસાહસિક બનાવવાનું નેતૃત્વ સંભાળ્યું છે.
આ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રથમ વર્ષમાં જ રાજ્યની 1 લાખ મહિલાઓને સશક્ત બનાવીને તેમને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકતાની તકો પૂરી પાડવામાં આવશે. આ માટે અદાણી ફાઉન્ડેશને મહારાષ્ટ્ર સરકારની નોડલ એજન્સી ‘મહિલા આર્થિક વિકાસ મહામંડળ’ (MAVIM) સાથે પીપીપી (PPP) મોડેલ પર ભાગીદારી કરી છે.

મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને બજાર મળી રહે તે માટે મુંબઈમાં ‘સ્વતેજા માર્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ સ્થાનિક મહિલાઓને ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ માટે તૈયાર મંચ પૂરો પાડશે. આ સાથે જ મહિલા સંચાલિત ‘ક્લાઉડ કિચન’ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ કાર્યક્રમે મુંબઈમાં 800થી વધુ મહિલાઓને “લખપતિ દીદી” બનાવવામાં સફળતા મેળવી છે.
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, મહિલાઓનું સશક્તિકરણ એ સમુદાયોને મજબૂત કરવાનો સૌથી શક્તિશાળી માર્ગ છે. મુંબઈની મહિલાઓની પ્રેરણાદાયી સફર બાદ હવે અમે આ મોડેલને સમગ્ર ભારતમાં લઈ જઈ રહ્યા છીએ. અમારું ધ્યાન ટકાઉ આજીવિકા અને મહિલા નેતૃત્વ હેઠળના ઉદ્યોગો પ્રોત્સાહન આપવા પર છે.


